Tuesday, 16 December 2014

પોલીસોએ લિન્ટ કેફેમાં ધસી જઈ સિડની સંકટનો અંત લાવી દીધો

સિડની – શહેરની લિન્ટ ચોકલેટ કેફેમાં બંદૂકધારીએ જમાવેલા કબજાના ડ્રામાનો ૧૬ કલાકે અંત આવી ગયો છે. સ્થાનિક સમય મુજબ રાતે લગભગ ૨.૨૦ (ભારતીય સમય મુજબ રાતે ૯.૧૫) વાગ્યાના અહેવાલ મુજબ, પોલીસો લિન્ટ કેફેમાં ઘૂસી ગયા હતા. સીએનએન ચેનલના અહેવાલ મુજબ, કેફેમાં આજે સવારે ઘૂસીને કેટલાક લોકોને બંદી બનાવનાર બંદૂકધારી માર્યો ગયો છે.
બંધકોને મુક્ત કરાવી દેવાયા છે. તેમાંના ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ સંકટમાં બંધક તરીકે ફસાયેલા ઈન્ફોસીસના કર્મચારી વિશ્વકાંત અન્કીરેડ્ડીને સુરક્ષિત રીતે ઉગારી લેવામાં આવ્યો છે.
લિન્ટ ચોકલેટ કેફેમાં ઘૂસીને કેટલાક લોકોને બંધક બનાવનાર બંદૂકધારી ૪૯ વર્ષીય ઈરાની મૂળનો નાગરિક છે, ઈસ્લામી ધર્મગુરુ છે અને તેનું નામ શેખ મન મોનિસ છે. ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાઓ તેને ઓળખે છે એવું પણ અહેવાલોનું કહેવું છે.
શેખ મન મોનિસ ગુનાઈત અપરાધ ધરાવે છે. તે માન્તેઘી બોરજરદી તરીકે ઈરાનમાં જન્મ્યો હતો, પણ ૧૯૯૬માં ઈરાનમાંથી ઓસ્ટ્રેલિયામાં ભાગી આવ્યો હતો. અહીં આવીને તેણે પોતાનું નામ બદલીને મન હારુન મોનિસ રાખ્યું હતું અને બાદમાં શેખ હારુન પદ ધારણ કર્યું હતું.
બંદૂકધારીના સકંજામાં ભાગી છૂટવામાં સફળ થયેલા એક બંધકે બાદમાં કહ્યું હતું કે બંદૂકધારી એવું બોલ્યો હતો કે તેણે ચાર બોમ્બ મૂક્યા છે, બે કેફેની અંદર અને બે શહેરમાં અન્યત્ર.
ઓસ્ટ્રેલિયાના આ શહેરના માર્ટિન પ્લેસ વિસ્તારમાં આવેલી લિન્ટ ચોકલેટ કેફેમાં આતંકવાદીએ આજે સવારે કબજો જમાવી અનેકને બંદી બનાવ્યા હતા. તેમાં એક ભારતીય પણ છે જે ઈન્ફોસીસ કંપની માટે કામ કરતો આઈટી પ્રોફેશનલ છે.
નાતાલના તહેવાર આડે અમુક દિવસો બાકી રહ્યા છે ત્યારે બંદૂકધારીએ નાટ્યાત્મક હુમલામાં કેફેમાં કબજો જમાવ્યો હતો. સ્થાનિક સમય મુજબ સવારે ૯.૪૦ (ભારતીય સમય મુજબ સવારે ૪.૧૦) વાગ્યે કરાયેલા આ હુમલાની જાણ થતાવેંત સુરક્ષા દળો ત્યાં પહોંચી ગયા હતા.
બંદી બનાવેલા લોકો ઉંચા હાથ સાથે લિન્ટ કેફેની બારીમાં ઊભેલા દેખાયા હતા. એક બારીમાં કાળા અને સફેદ રંગનો એક ઝંડો પણ જોવા મળ્યો હતો જે જેહાદી ધ્વજ હોવાનું મનાય છે.
Clipboard01બંધકોમાં એક કદાચ ભારતીય આઈટી પ્રોફેશનલ છે એવું નવી દિલ્હીમાં સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યા બાદ ઈન્ફોસીસ કંપનીએ સમર્થન આપ્યું છે કે તેનો એક કર્મચારી કેફેની અંદર ફસાયેલો છે.
૨૦૦૮ના નવેંબરની ૨૬મીએ મુંબઈમાં જે રીતે ટેરર હુમલો કરાયો હતો એવી જ રીતે સિડનીની કેફેમાં હુમલો કરાયો છે.
આ કેફે સિડનીના સીમાચિન્હરૂપ ઓપેરા હાઉસથી બહુ દૂર નથી, તેમજ ભારતીય કોન્સ્યૂલેટથી માત્ર ૪૦૦ મીટર જ દૂર આવેલી છે.
ઈન્ફોસીસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે અમે ખાતરી કરી છે કે લિન્ટ કેફેમાં આતંકવાદીઓના હાથમાં ફસાયેલા લોકોમાં કંપનીનો એક કર્મચારી પણ છે. અમારા અન્ય કર્મચારીઓ સિડનીમાં ક્યાં છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અમે તાજી પરિસ્થિતિ અંગે સ્થાનિક સત્તાવાળાઓ અને સિડનીમાં ભારતીય કોન્સ્યૂલેટ સાથે સતત સંપર્કમાં છીએ.
ઈન્ફોસીસના નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે કેફેમાં ફસાયેલા કર્મચારીના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને તેઓ શક્ય હોય એવો તમામ ટેકો આપી રહ્યા છે.
સિડનીમાં, કોન્સલ જનરલ સંજય સુધીરે કહ્યું છે કે સલામતી વ્યવસ્થાને કારણે અમે બપોરે ૧૨ વાગ્યાથી અમારી ઓફિસ બંધ કરી દીધી છે અને અમારા તમામ અધિકારીઓને કહી દીધું છે કે તેઓ સુરક્ષિત સ્થળોએ ચાલ્યા જાય.
સંજય સુધીરે એમ પણ કહ્યું કે લિન્ટ કેફે જ્યાં આવેલી છે તે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ (CBD)માં ઘણી ભારતીય કંપનીઓની ઓફિસો આવેલી છે જેમ કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને ભારતીય ટૂરિઝમ. અમે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.
સિડનીની કેફે પરના હુમલામાં સીરિયાના આતંકવાદી સંગઠન અલજ-નુસરા હોવાની સંભાવના છે. અલ-નુસરા એ અલ-કાયદા અને ઈસ્લામીક સ્ટેટ (IS) સાથે સંકળાયેલું આતંકવાદી સંગઠન છે.
બહાર ઉભેલાઓને આ કેફેની બારીમાંથી એક ઝંડો દેખાયો હતો જેમાં અરબી ભાષામાં લખાણ હતું. બંદૂકધારીઓ બે જણ હોવાનું મનાય છે.
આતંકવાદીએ ૩૦ જણને બંધક બનાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જે પૈકીના પાંચ બંધકો ભાગીને બહાર આવવામાં સફળ નીવડ્યા હતા. હજી પણ બાકીના બંધકો અંદર ફસાયેલા છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબટે સિડનીમાં ટેરર હુમલો કરાયાને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ રાજકારણપ્રેરિત હુમલો છે.
એબટે કહ્યું છે કે બંદૂકધારીઓનો હેતુ શું છે તેની ખબર પડી નથી. સ્થાનિક ન્યૂઝ ચેનલે આપેલી માહિતી અનુસાર આ બંદૂકધારી પાસે વિસ્ફોટક સામગ્રી હોવાની પણ સંભાવના છે. એબટે લોકોને સંયમ જાળવવા અને પોતપોતાનું કામ કરતા રહેવાની અપીલ કરી છે.
કેફેમાં ફસાયેલાઓને ઉગારવા માટે પોલીસ ઓપરેશન સ્થાનિક સમય મુજબ મધરાતે પણ ચાલુ હતું. પોલીસે કેફેની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસે કેફેની નજીકના વિસ્તારમાં તમામ ઓફિસોમાં લોકોને અંદર જ રોકી રાખ્યા છે. હાર્બિન બ્રિજને પણ બંધ કરાવી દીધો છે. તેમજ ટ્રેનસેવાને પણ અટકાવી દીધી છે.
અમેરિકામાં, પ્રમુખ બરાક ઓબામાને સિડની હુમલા વિશે વાકેફ કરી દેવાયા છે અને વ્હાઈટ હાઉસ અધિકારીઓ એમને ઘટનાની રજેરજ માહિતી આપી રહ્યા છે.
સિડનીની ઘટના પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સિડનીની ઘટના ચિંતા કરાવે એવી છે. આ પ્રકારની અમાનવીય ઘટના ઘણી દુખદ હોય છે. હું દરેકની સુરક્ષા માટે પ્રાર્થના કરૂ છું.

No comments:

Post a Comment