
પેશાવરની આર્મી શાળામાં થયેલા હુમલાના સમાચાર મળતા જ અબ્દુલ સત્તાર ઇદીના EDHI ફાઉન્ડેશનની કેટલીય એમ્બ્યુલન્સ સ્વૈચ્છિક રીતે સહાય માટે પહોંચી ગઇ હતી. આર્મી સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે સવારના 10થી સાંજના સાત કલાક સુધી EDHI ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સો અને સ્વયંસેવકો ઘટના સ્થળે હાજર હતા.
પાકિસ્તાનમાં અબ્દુલ સત્તાર ઇદીનું એટલું માન છે કે સરકાર દ્વારા 16 વખત તેમનું નામ નોબલ પુરસ્કારના માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. તેમના માટે એવું કહેવાય છે કે, EDHI ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ પર આતંકવાદીઓ પણ હુમલો ના કરે. અબ્દુલ સત્તાર ઇદીનો જન્મ 1928માં હાલના ગુજરાતમાં બાંટવામાં થયો હતો. 86 વર્ષના ઇદી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાને ખૂબ માનતા હતા આથી ઝીણાના આહ્વાનથી તેઓ બંને દેશોના ભાગલા સમયે પરિવાર સાથે પાકિસ્તાન જતાં રહ્યા હતા.
પાકિસ્તાનમાં 1951માં અબ્દુલ સત્તાર ઇદીએ EDHI ફાઉન્ડેશનની સ્થાપના કરી. ઇદી ફાઉન્ડેશનના નાના મોટા અંદાજે 300 જેટલાં સેન્ટર સમગ્ર પાકિસ્તાનમાં છે. જો તેમની સંસ્થાનું કોઇ વાહક પાકિસ્તાનનાં ફાયરિંગ ક્ષેત્રમાં ભૂલથી પણ જતું રહે તો ગોળીબાર અને મારામારી જેવા બનાવો બંધ થઇ જાય છે.
બુરખા પહેરીને નીકળતી પાકિસ્તાની મહિલાઓ પણ જ્યારે અબ્દુલ સત્તારને જોવે એટલે મુસ્લિમ રીત-રીવાજ મુજબ હાથ ચૂમી તેમની લાંબી ઉંમર માટે દુઆ માંગે છે. અબ્દુલ સતાર સીદીએ સાબિત કરી બતાવ્યું છે કે, માનવતાથી મોટો કોઇ ધર્મ નથી. એટલે જ અબ્દુલ સતારને પાકિસ્તાનમાં લોકો બીજા ગાંધી તરીકે ઓળખે છે.અબ્દુલ સત્તારની પાકિસ્તાનમાં ૪૫૦થી વધુ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાનું કામ માત્રને માત્ર સમાજસેવા. મા-બાપ વગરનાં બાળકો માટે અનાથાલય, નિ:શુલ્ક હોસ્પિટલ, અપંગો માટે જુદી જુદી મદદ કરતી રહે છે આ સંસ્થા. આ ઉપરાંત કોઇ કુદરતી આફત આવે તો સંસ્થાની અંદાજિત ૪૦ હજારથી પણ વધુ નર્સ અને કર્મચારીઓની ફોજ તુરત રાહત કાર્યમાં લાગી જાય તેટલી ક્ષમતા છે.
પાકિસ્તાનમાં બીજા ગાંધી તરીકે ઓળખાતા અબ્દુલ સત્તારની વધુ વિગતો જાણીએ તો તેમની સમાજસેવી સંસ્થાનું ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ રેકોર્ડ નોંધાવવા પાછળનું કારણ એક માત્ર જ કે દુનિયાભરમાં અબ્દુલ સત્તારની સંસ્થા જ એક એવી છે કે, તેમની પાસે ૧૮૦૦ એમ્બ્યુલન્સ, ૩ પ્લેન અને એક હેલિકોપ્ટર છે.
અબ્દુલ સત્તારની આવી સમાજસેવી પ્રવૃતિને કારણે તેમને ફાધર ટેરેસા અને બીજા ગાંધી તરીકે જાણીતા થયા છે. અબ્દુલ સતારનાં પત્ની બેગમ બીલકીશ સમાજસેવી સંસ્થાનાં અધ્યક્ષપદે છે. મૂળ ગુજજુ અને હાલ પાકિસ્તાનમાં રહી સમાજસેવાની સુવાસ ફેલાવતા આ સત્તાર દંપતીને ૧૯૯૬માં ભારત તરફથી ગાંધી શાંતિ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ અબ્દુલ સતાર ઇદીને લેનીન શાંતિ પુરસ્કાર, બલજન પુરસ્કારથી સન્માનીત કરાયા છે.
આજે પાકિસ્તાનમાં અબ્દુલ સાહેબનું નામ એટલું જાણીતું અને પ્રખ્યાત છે કે, પાકિસ્તાનનાં કોઇ પણ પ્રાંતમાં જાઓ, તેમનું નામ કહેવાની જરૂર રહેતી નથી. આજે પણ પાકિસ્તાનમાં કોઇ કુદરતી આફત કે ઘરેલું મુસીબતો આવે તો આ અબ્દુલ સત્તાર સાહેબ તુરંત પહોંચી જાય છે.
આજે આ ઇદી પરિવાર પાસે જે કંઇ પણ છે તે માત્રને માત્ર ગરીબો માટે જ છે. અબ્દુલ સત્તાર ઇદીની ઝૂલાઘર સ્કીમે કારણે પાકિસ્તાનમાં હજારો બાળકોની જિંદગી બચાવી છે. અનાથ અને લાચાર અનેક દીકરીઓનાં લગ્ન પણ કરાવ્યાં છે. પાકિસ્તાનમાં હજારો અનાથ બાળકોનો સહારો હોય તો તે અબ્દુલ સતાર સાહેબની સંસ્થા છે. અબ્દુલ સતાર સાહેબ તમામ અનાથ બાળકોને પોતાનાં જ સંતાનો હોય તેવી રીતે પાલન પોષણ કરે છે.
વાસ્તવિક જીવનમાં ઇશ્વર કેવા હોય છે તેવું એક ઉદાહરણ છે આ અબ્દુલ સત્તાર ઇદી. તેમણે ક્યારેય ટ્રસ્ટનાં પૈસાનો ઉપયોગ પોતાના પરિવાર પાછળ કર્યો નથી. એક વખત અબ્દુલ સત્તાર સાહેબનાં પુત્ર ફૈઝલે સાઇકલ લઇ આપવાની પિતા અબ્દુલ સતાર સાહેબ પાસે માંગણી કરી હતી. પરંતુ સમાજસેવા માટે ભેખ ધારણ કરનાર અબ્દુલ સતાર સાહેબે તેમનાં પુત્ર ફૈઝલને સાઇકલ લઇ દેવાની ના પાડી કહ્યું કે, હું જ્યારે આ બધા બાળકો માટે સાઇકલ ખરીદીશ ત્યારે તારા માટે સાઇકલ ખરીદીશ.
No comments:
Post a Comment