
અસદુદ્દીન ઓબૈસી એમનું નામ.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એ આઇ એમ આઇ એમ) એવું શુધ્ધ ઉર્દૂ અરેબિક એમના પક્ષનું નામ.
કેટલા કટ્ટરવાદી મુસલમાન એ ભાઇ હશે એ આના ઉપરથી ધારી શકાય છે. મોહમ્મદ અલી જિન્હા કરતાં પણ વધુ કટ્ટરવાદી મુસલમાન!
વતન એમનું હૈદ્રાબાદ.
હવે ત્યાંથી મુંબઇ-મહારાષ્ટ્રમાં પગ પ્રસારવા આવી ગયા છે.
થોડાં વખત પહેલાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાના જાવખેડા ગામમાં ત્રણ દલિતોને ક્રૂરતાથી મારી નાંખેલા ત્યારે એમની સાથે એકતાનો ભાવ દેખાડવા આ ઓબૈસી દોડી ગયેલા અને બીજા દિવસે એ મુંબઇ જઇને પોતાના ટેકેદારો અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા પોતાના બે ધારાસભ્યોની મીટીંગને સંબોધીને બીજે દિવસે વહેલી સવારે હૈદ્રાબાદ જવા ઉપડી ગયેલા જ્યાં એમણે પોતાના પક્ષના કાર્યકરોને સંબોધેલા.
આ અસદુદ્દીન ઓબૈસી સંસદ સભ્ય છે અને પોતાના પક્ષના બે સભ્યોને મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાવી લાવ્યા પછી ખૂબ જ બીઝી થઇ ગયા છે... આજે અહીં તો કાલે ત્યાં તો પરમ દિવસે પણે! દેશના મુસ્લિમોના મતોના આજે એ મુખ્ય દાવેદાર છે. એમની નજર હવે દિલ્લી, ઉત્તરપ્રદેશ અને બંગાળ ઉપર મંડાયેલી છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ જેવા જે પક્ષો મુસ્લિમ મતો ઉપર આધાર રાખતા હતા એમના માટે આ ઓબૈસી ભય સમાન છે.
ઓબૈસીનો દાવો છે કે દેશના મુસલમાનોને લગતા પ્રશ્નો વિષે ગંભીરતાપૂર્વક વિચારનાર દેશમાં તેઓ જ એક નેતા છે. પાકિસ્તાનના જન્મદાતા મોહમ્મદઅલી જિન્હા પણ શરૃઆતમાં આવા જ અર્થના શબ્દો વાપરતા હતા. એમનો આક્ષેપ છે કે, બધા જ રાજકીય પક્ષોએ મુસલમાનોનો ઉપયોગ ''વોટ બેન્ક'' તરીકે જ કરેલો છે. મુસલમાનોના હિતનું કોઇએ કામ જ કર્યું નથી. ઘણા મુસલમાનો એમના આ મંતવ્ય સાથે સહમત પણ થાય છે.
ઓબૈસી અને મુસ્લિમો ભલે જે માનવું હોય તે માનતા હોય પરંતુ આપણા દેશમાં ''મુસ્લિમોના પ્રશ્નો'' જેવા કોઇ અલગ પ્રશ્નો જ નથી. જે પ્રશ્નો છે એ બધા જ ભારતીયો માટે સરખા જ છે. મુસલમાનોના જે પ્રશ્નો હોવાનું મુસલમાનો ગણે છે એ એમણે પોતે ઊભા કરેલા જ પ્રશ્નો છે. ઉલટાનું મુસલાનોએ પોતાના પ્રશ્નોની બુમરાણ કરીને ઉલટાના વધુ હક્કો મેળવ્યા છે અને હજી એ રસ્તેથી જ બીજા હક્કો વધુ મેળવવાની એમની પેરવી છે. દેશના ટુકડા કરીને મુસલમાનોને પોતાનું અલગ રાષ્ટ્ર જ જ્યારે અપાયું હોય ત્યારે આ દેશમાં રહીને વધારે મેળવવાની પેરવી શા માટે હોય શકે?
ઓબૈસીનું દેશના રાજકીય ક્ષિતિજ ઉપર દેખાવું અને ઝડપથી આગળ વધવું એ કોંગ્રેસ અને મુલાયમસિંહ માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી શકીલ અહમદ કહે છે કે, ''ઓબૈસી મેદાનમાં આવતા મુસ્લિમ મતો વહેંચાઇ જશે જેનો લાભ ભાજપને જ થવાનો.''
ઓબૈસી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ''હું સાંપ્રદાયિક છું કે બિનસાંપ્રદાયિક એ માટે મારે ભાજપ કે કોંગ્રેસનું સર્ટીફીકેટ લેવાની જરૃર નથી. તેઓ ભૂલી જાય છે કે હજી હમણાં સુધી હું એમની સાથે હતો પણ એમને ગણકાર્યા નહીં પછી હું એકલો પડી ગયો.''
કોંગ્રેસ પક્ષ માટે સૌથી વધુ ચિંતાનો વિષય દિલ્લીની વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ છે. ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસે જે ૮ સીટ જીતી છે એમાંની ૫ સીટ મુસ્લિમોના જ્યાં વધુ મતો છે એ વિસ્તારમાંથી જીતેલી છે. દિલ્લીમાં જ્યાં મુસ્લિમો હારજીત નક્કી કરે છે એવા ૧૦ વિધાનસભાના મતદાર વિસ્તાર છે. એટલે ઓબૈસી પોતાના પક્ષના ઉમેદવારો ત્યાંથી ઊભા રાખે તો કોંગ્રેસ ભીંસમાં આવી જાય.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ''મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન'' પક્ષને જે બે સીટ મળી એ ચોકાવનારી છે પણ ઓબૈસી માટે ઉત્સાહવર્ધક છે. જે પક્ષને કે એના નેતાને હૈદ્રાબાદ, તેલંગણાની બહાર કોઇ ઓળખતું પણ નથી એ પક્ષને મહારાષ્ટ્રમાં બે સીટ મળે એનો શું અર્થ? દેશમાં ક્યાં શું થઇ રહ્યું છે એની ઉપર મુસલમાનોની નજર હોય છે એ આ બતાવે છે. આ પક્ષે મહારાષ્ટ્રમાં ૨૪ ઉમેદવારો ઊભા રાખેલા જેમાંથી ૨ જીત્યા... એક મુંબઇમાં અને એક ઔરંગાબાદમાં. વાત અહીં અટકતી નથી. ૩ સીટ ઉપર MIM પક્ષ બીજા નંબરે હતો અને ૮ સીટ ઉપર ત્રીજા નંબરે હતો. વળી ફક્ત ૨૪ જ ઉમેદવારો ઊભા રાખીને કુલ મતના ૧ ટકો મત મેળવ્યા એ પણ મહત્ત્વનું છે. પક્ષ સાવ નવો હોવા છતાં એને કેવો ટેકો મળી રહ્યો છે તે આ બતાવે છે.
આના સંકેતો સમજવા જેવા છે. દેશમાં અત્યારે કુલ વસતિની ૧૪ ટકા વસતિ મુસલમાનોની છે અને કેરળ, બંગાળ, આસામમાં કુલ વસ્તિનો એક ચતુર્થાંશ ભાગ મુસ્લિમ મતદારોનો છે. પરંતુ એમનું લોકસભામાં એમનું પ્રતિનિધિત્વ એમની વસતિના પ્રમાણમાં ઓછું છે. દા.ત. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમ ઉમેદવારો જીતેલા, ૨૦૦૯માં એ ૩૦ થઇ ગયેલા અને આ વર્ષે ૨૨ જ છે. એટલે કે લોકસભાના કુલ સભ્યો કરતાં ફક્ત ૫ ટકા કરતાં ઓછા સભ્યો મુસલમાન છે.
આન્ધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જ્યાંથી લોકસભાની ૧૨૦ સીટ થાય છે ત્યાંથી મુસ્લિમ એક જ લોકસભામાં ચૂંટાયેલ અને તે મુસ્લિમ એટલે આ ઓબૈસી.
હવે જો MIM એટલે ઓબૈસી પેલા ઝિન્નાની જેમ મુસ્લિમ મતોને નિશાન બનાવે તો શું થાય? ભાજપ અને ખાસ કરીને સંઘે વિચારવા જેવો આ પ્રશ્ન છે. ઓબૈસીના ઉત્થાનથી હિન્દુઓ જાગૃત થતા ભાજપ અને સંઘને લાભ થશે એવા ભ્રમમાં સંઘે કે ભાજપે રહેવાની જરૃર નથી. એક નવો ઝિન્ના જન્મી ચુક્યો છે એટલે એની સામે સાવધ થવાની જરૃર છે.
MIM ની અસર મુસ્લિમ મતો પર આધાર રાખનાર મુલાયમસિંહના સમાજવાદી પક્ષ ઉપર બિહારમાં જેના આધારે નીતિશકુમારે ભાજપ સાથેનો ૧૭ વર્ષનો સંબંધ તોડવાની હિંમત કરી એ મુસ્લિમ મતો, બંગાળમાં પણ તૃણમૂલ કોંગ્રેસ પણ મુસ્લિમ મતો પર આધારિત છે એવા પ્રાદેશિક પક્ષો ઉપર પણ પડવાની છે.
ઉત્તરપ્રદેશમાં જે કોમી તોફાનો છેલ્લા એક વર્ષમાં થયા એથી પણ મુસ્લિમો ઓબૈસી તરફ વળ્યા છે. આઝમગઢના મુસ્લિમોએ એમને આમંત્રેલા અને પછી અલ્લાહબાદના મુસ્લિમોએ બોલાવેલા. બન્ને ઠેકાણે એમને ઉત્તરપ્રદેશની યાદવ સરકારે જવાની મંજૂરી નહીં આપેલી. ઓબૈસી કહે છે કે, ''હું આ દેશનો સંસદ સભ્ય છું એટલે લોકસભામાં બોલી શકું છું પરંતુ આ દેશના એક રાજ્યમાં બોલી શકતો નથી.''
ઓબૈસીનો જે મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પક્ષ છે એ દેશના જૂના પક્ષોમાંનો એક છે... ભાજપ કરતાં પણ જૂનો છે. ૧૯૪૮માં એની ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલો. એના નેતા ફાસીમ રઝવીને જેલમાં પુરવામાં આવેલા. ફાસીમ રઝવીનો એ વર્ષોમાં હૈદ્રાબાદ રાજ્યમાં ઘણો ત્રાસ હતો. ૧૯૫૮માં એમને છોડવામાં આવેલા પછી એ પાકિસ્તાન ચાલ્યા ગયેલા. એમણે પક્ષ અબ્દુલ વાહીદ ઔબેસીને સોંપેલો. એમના પછી એમના પુત્ર અલાલુદ્દીન ઓબૈસીએ પક્ષનું સંચાલન સંભાળેલું. એ હૈદ્રાબાદમાંથી જ ચાર વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા અને ૧૯૮૪માં લોકસભામાં ચૂંટાયા. પક્ષના હૈદ્રાબાદના ઉમેદવાર તરીકે એ પછી અસાદુદ્દીન ઓબૈસી ચૂંટાતા આવ્યા.
છેલ્લી ચૂંટણી વખતે MIM પક્ષ પ્રાદેશિક પક્ષ તરીકે પણ ચૂંટણી પંચમાં માન્ય નહોતો (૬ ટકા મત મેળવનાર પક્ષ જ પ્રાદેશિક પક્ષ તરીકે માન્ય ગણાય છે). પરંતુ ૨૦૧૪માં તેલંગણામાં એ પક્ષે ૭ સીટ જીતી પછી એ પ્રાદેશિક પક્ષ તરીકે માન્ય બન્યો.
MIM પક્ષ અલાલુદ્દીન અને એના નાના ભાઇ અકબરુદ્દીન ચલાવી રહ્યા છે. બન્ને મુસલમાનોના ઉગ્રવાદી નેતા છે. મુસલમાનો ઉપર બન્નેની અસર છે અને બન્ને મુસલમાનોમાં લોકપ્રિય છે. અકબરુદ્દીન એની ધિક્કારની ભાષા માટે જાણીતા છે. છેલ્લા ૧૦ વર્ષથી એ ભાષણો કરતા આવ્યા છે. એની તિરસ્કારભરી તીખી ભાષાની કેસેટો મુસ્લિમ વિસ્તારોમાં ફરી રહી છે. દેશની મસ્જીદોમાં પણ એ કેસેટો સંભળાવવામાં આવે છે. એ કહેતો હોય છે કે, ''૨૫ કરોડ મુસલમાનો ૧૦૦ કરોડ હિન્દુઓને ભારે પડે તેવા છે.'' એ કહે છે કે, ''અમે મુસલમાનોના અમારા હક્કો માટે લડી રહ્યા છીએ.'' મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં એણે કહેલું કે, ''તેલંગણાના બજેટમાં તેલંગણાના ૪૦ લાખ મુસલમાનો માટે ૧૦૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવેલો જ્યારે મહારાષ્ટ્રમાં ૧ કરોડ ૫૦ લાખ મુસલમાનો માટે એ કરતાં અડધી રકમ જ ફાળવવામાં આવેલી.'' આ મુદ્દા સાથે એણે ભાષણમાં ૧૯૯૨-૯૩માં મુંબઇમાં થએલા રમખાણો પછી ન્યાયમૂર્તિ બી. શ્રીકૃષ્ણ પંચના રિપોર્ટ મુજબ અમલ નથી કરાયો, માલેગાંવના બોમ્બ ધડાકા પછી મુસ્લિમ યુવાનો ઉપર આતંકવાદનો ગુનો દાખલ કરવો, દસ વર્ષમાં મહારાષ્ટ્રની જેલોમાં ૩૩૩ મુસલમાનોના મોત, મહારાષ્ટ્ર રાજ્યના કુલ કેદીઓમાં ૪૦ ટકા કેદીઓ મુસલમાન... વગેરે મુદ્દા પણ ઊઠાવેલા.
ઓબૈસીના આવા વિધ્વંસક વિચારોનો બીજા મુસ્લિમ નેતાઓ જ વિરોધ કરી રહ્યા છે. જેમકે મહારાષ્ટ્રના નેતા અબુ આસિમ આજમી કહે છે કે, ''ઓબૈસી જે કહે છે એના લાંબા ગાળાના પરિણામ સારા નહીં આવે. એ વિચારોથી મુસલમાનોની છબી ખરાબ થશે.''
No comments:
Post a Comment