
મોદી સરકારની ઉંઘહરામ કરનાર અને સંસદનું શિયાળુ સત્ર ખોરવી નાંખનાર ઘર વાપસીના કાર્યક્રમથી હવે સંઘ પણ નારાજઃ મહત્વની જવાબદારીઓ પાછી ખેંચી લીધી રાજેશ્વરસિંહ હવે સંઘને લગતુ કોઇ કામ નહિ કરેઃ ધર્મ જાગરણ અભિયાનથી દુર કરી દેવાયાઃ યુપીમાં ઘર વાપસીના તમામ કાર્યક્રમો રોકી દેવાયા મોદી અને ભાજપની નારાજગીનો પડઘો પડયો
આગ્રામાં ઘર વાપસી કાર્યક્રમ થકી દેશભરમાં ધર્માંતરણના મુદ્દાને હવા આપનાર સંઘના પ્રચારક રાજેશ્વરસિંહ અચાનક અને ચુપચાપ રજા પર ચાલ્યા ગયા છે અથવા તો મોકલી દેવામાં આવ્યા છે. એવી ચર્ચા છે કે, પીએમ મોદીની નારાજગીને કારણે તેમને ‘સજા' મળી છે. સંઘે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં તેમને સોંપેલી કો-ઓર્ડીનેટરની જવાબદારી પણ પાછી ખેંચી લીધી છે.
રાજેશ્વરસિંહ સંઘના સાથી સંગઠન ધર્મ જાગરણ સમન્વય સમિતિના સંયોજક પણ છે. ગયા મહિને આગ્રામાં થયેલા ધર્માંતરણના કાર્યક્રમ બાદ તેઓ ચિત્રમાં આવ્યા હતા. આ ઘટના બાદ કેન્દ્ર સરકાર અને સંઘ ઉપર ભારે માછલા ધોવાયા હતા. આ મામલાને કારણે જ સંસદ પણ ઠપ્પ થઇ ગઇ હતી. એવુ માનવામાં આવે છે કે, સંઘે રાજેશ્વરસિંહને ચુપ રહેવાનો આદેશ આપી દીધો છે. એવુ પણ જાણવા મળે છે કે, સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ તેમનાથી ભારે નારાજ છે અને તેમની નારાજગી રાજેશ્વરના નિવેદનોથી બહાર આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ઘર વાપસીના તેમના કાર્યક્રમથી મોદી પણ ભારે નારાજ થયા હતા.
રાજેશ્વરસિંહ અચાનક રજા ઉપર ચાલ્યા જતા આ અંગે સંઘના વરિષ્ઠ પ્રચારકે જણાવ્યુ છે કે, તેઓ સંઘમાંથી છુટા નથી થઇ ગયા કે તેમને જવાબદારીમાંથી હટાવાયા નથી પરંતુ તેઓ માત્ર રજા ઉપર ગયા છે. તેઓ ૧૯૭૧થી સંઘના પ્રચારક છે અને ૧૯૯૬થી ધર્મ જાગરણ શાખાના વ્રજ વિસ્તારને સંભાળે છે. તેમની પાસે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડનો પણ પ્રભાર છે.
આ અંગે રાજેશ્વરસિંહનું કહેવુ છે કે, મેં કેટલાક મહિનાઓની રજા લીધી છે કારણ કે હું ઇલાજ કરાવવા માંગુ છું. હું ડાયાબીટીસ અને અન્ય કેટલીક બિમારીથી પીડાઉ છું. તેમણે કહ્યુ હતુ કે, મારી હવે પછીની ભુમિકાનો નિર્ણય સંઘના શિક્ષાવર્ગમાં લેવાશે. આ કાર્યક્રમ જુનમાં યોજાશે. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં સંઘના પદાધિકારીઓની જવાબદારી અને ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. આગ્રામાં ઘર વાપસીના કાર્યક્રમ બાદ રાજેશ્વર રપ ડિસેમ્બરે અલીગઢમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવા માંગતા હતા પરંતુ હંગામાના કારણે તેમણે આ કાર્યક્રમ રદ્દ કરવો પડયો હતો.
પપ વર્ષના રાજેશ્વરસિંહને પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કો-ઓર્ડીનેટર કાર્યક્રમોમાંથી દુર કરી દેવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સંઘના નેતાઓ અને મોદીની બેઠક યોજાય હતી તેમાં મોદીએ ઘર વાપસીના કાર્યક્રમ અંગે પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, આવા કાર્યક્રમોથી સરકારના વિકાસના કાર્યક્રમો અને એજન્ડાને માઠી અસર પડી શકે તેમ છે. રાજેશ્વરસિંહે પણ કહ્યુ છે કે, હવે હાલ હું સંઘને લગતુ કોઇ કામ નહી કરૂ. તેઓ કહે છે કે, મારા ઉપર ઘણુ દબાણ આવ્યુ હતુ અને તેને કારણે મારી તબીયતને અસર થઇ છે અને હવે હું આરામ કરવા માંગુ છું. મેં કઇ ખોટુ કર્યુ નથી, સંઘના ટોચના નેતાઓએ મને અગાઉ આ બાબતે આશીર્વાદ પણ આપ્યા હતા. મને આશા છે કે, મને સમય આવ્યે મહત્વની જવાબદારી સોંપાશે. તેઓ કહે છે કે, સંઘને અત્યારે ભલે મારી જરૂર ન હોય પરંતુ ભવિષ્યમાં મારી જરૂર પડશે.
સંઘના ટોચના નેતાઓએ જણાવ્યુ છે કે, તેમને સંઘ અને ભાજપની ટોચની નેતાગીરી વચ્ચે થયેલી ચર્ચા બાદ હટાવાયા છે. આ વાતચીતમાં પીએમ પણ સામેલ હતા. ભાજપના નેતાઓએ સંઘની નેતાગીરીને ફરિયાદ કરી હતી કે, ધર્માંતરણના વિવાદે સરકારના વિકાસના એજન્ડાની ચમક છીનવી લીધી છે. યુપીમાં સંઘના એક પદાધિકારીએ કહ્યુ હતુ કે, અમારા તમામ ઘર વાપસીના કાર્યક્રમો અટકાવી દેવાયા છે. સંઘના પ્રવકતા મનમોહન વૈદ્યએ રાજેશ્વરને હટાવ્યાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, કોઇના પ્રેશર વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને સંઘ સાથે જોડાયેલા ધર્મ જાગરણ અભિયાનથી પણ હટાવી દેવાયા છે. ઘર વાપસીના કાર્યક્રમ બાદ રાજેશ્વરસિંહે કહ્યુ હતુ કે, મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ભારતમાં રહેવાનો હક્ક નથી. તેમણે આવતા ૭ વર્ષમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો દાવો પણ કર્યો હતો.
No comments:
Post a Comment