Saturday, 29 November 2014

અલકાયદા-ISIS અને ISI ભારત માટે ખતરારૂપ : રાજનાથ

ગુવાહાટી તા. ૨૯ : આસામના ગુવાહાટીમાં ત્રાસવાદને લઇને ગૃહમંત્રી રાજનાથસિંહે એક મહત્‍વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્‍યુ છે કે અલકાયદાએ ભારતના એક જહાજનું અપહરણ કરવાની યોજના બનાવી હતી. પરંતુ તે તેના ઇરાદા સફળ થયા નહોતા. તેમાં પાક. નેવીના કેટલાક લોકો પણ સામેલ હતા. પરંતુ આનાથી ગભરાવવાની જરૂર નથી. ભલે ગમે તેટલી મોટી ચેલેન્‍જ હોય આપણે તેને નિપટવા માટે તૈયાર છીએ.
   રાજનાથસિંહે જણાવ્‍યુ છે કે અલકાયદા દેશ માટે એક મોટો પડકાર છે. અલકાયદા ભારતને ઇસ્‍લામિક સ્‍ટેટ બનાવવા ઇચ્‍છે છે. આ બેઠકમાં રાજનાથે કહયું હતું કે પાકિસ્‍તાન નાપાક હરકતો ચાલુ જ રાખે છે. પાકિસ્‍તાનની આઇએસઆઇ ભારતમાં સતત અસ્‍થિરતાના પ્રયાસો કરી રહેલ છે. પરંતુ ભારત ત્રાસવાદીઓના ઇરાદા સફળ થવા નહીં દયે.
   તેમણે કહયું હતું કે દેશના કેટલાક યુવાનો આઇએસઆઇએસથી આકર્ષિત થઇ રહયા છે જે ચિંતાની બાબત છે. ગૃહમંત્રીએ કહયું હતું કે આઇએસઆઇએસની નજર ભારતીય યુવાનો ઉપર છે. જો કે ગભરાવવાની જરૂર નથી. પછી ભલે પાકિસ્‍તાન હોય, અફઘાનિસ્‍તાન હોય, સિરીયા હોય તેઓને લાગે છે કે અહીં મુસ્‍લિમોને કારણે તેઓને પગ પસારવામાં સરળતા રહેશે પરંતુ આવુ થઇ શકે તેમ નથી. કારણ કે ભારતના મુસ્‍લિમોને હું ઓળખુ છું. આઝાદીના સમયથી તેઓનું બલીદાન આપણે ભુલ્‍યા નથી. અલકાયદાએ પણ એ વાત સમજવી જોઇએ કે ભારતના મુસ્‍લિમો સાચા દેશભકત છે.
   ઇસ્‍લામિક સ્‍ટેટ એક મોટો પડકાર છે. આપણા દેશના કેટલાક યુવકો તેની વિચારધારાથી પ્રભાવિત થઇ રહયા છે પરંતુ ચિંતાની બાબત નથી. જમ્‍મુ-કાશ્‍મીરના અરનિયામાં ત્રાસવાદી અથડામણનો ઉલ્લેખ કરતા રાજનાથે કહયું હતું કે પાકિસ્‍તાન દાવો કરે છે કે આવી ઘટના પાછળ નોન સ્‍ટેટ એકટર્સ છે એ સાચુ નથી. તેમણે કહયું હતું કે પાકિસ્‍તાનના સરકારી તંત્રના કેટલાક લોકો પણ ભારતને અસ્‍થિર કરવામાં લાગ્‍યા છે. તેઓએ આજે અહીં ડીજીપી અને આઇજીની ૪૯મી ઓલ ઇન્‍ડીયા કોન્‍ફરન્‍સને સંબોધન કર્યુ હતુ.

No comments:

Post a Comment