સાર્ક શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ૨૬/૧૧ હુમલાને યાદ કર્યો : સાર્ક દેશો આસપાસ છે પરંતુ સાથ સાથ નથી : ત્રાસવાદ સામે એકજુથ થઇને લડવાનો અનુરોધ કર્યોઃ સાર્ક સંમેલનમાં આડકતરી રીતે પાકિસ્તાનને ઘેર્યુ : ત્રાસવાદના ખાત્માના લીધા શપથ : ભારત સાર્ક દેશો માટે ૩ થી પ વર્ષ માટે વ્યવસાય વિઝા આપશે

કાઠમંડુ તા. ૨૬ : કાઠમંડુમાં આજથી સાર્ક શિખર સંમેલનનો પ્રારંભ થઇ રહયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ મુંબઇમાં આજના દિવસે ૬ વર્ષ પહેલા થયેલા ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહયુ હતું કે ભારત આ દર્દને ભુલી શકતુ નથી. તેમણે જણાવ્યુ હતું કે સાર્ક દેશ ભૌગોલિક રીતે આસપાસ છે પરંતુ સમયની માંગ છે કે તેઓ સાથે સાથે પણ રહે. તેમણે સભ્ય દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશ માટે યોગ્ય માહોલ બનાવવાની જોરદાર પેરવી કરી હતી. મોદીએ દર્દીઓ અને વેપારીઓ માટે વીઝા પ્રક્રિયાની સરળ બનાવવા માટે ભારત તરફથી પહેલની પણ જાહેરાત કરી હતી.
સાર્કના ૧૮માં સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહયુ હતું કે અમે ત્રાસવાદ અને સીમાપાર અપરાધથી લડવા માટે જે સંકલપ કર્યો છે તે પુરો કરવાની જરૂર છે. તેમણે કહયું હતું કે આજે આપણે જયારે મુંબઇમાં ૨૦૦૮માં થયેલા ત્રાસવાદી હુમલાની ભયાનકતાને યાદ કરીએ છીએ તો અમને જીંદગીઓ ગુમાવવાનું અપાર દુઃખ અનુભવાય છે.
આર્થિક મોરચે સાર્ક દેશો પાસેની પ્રક્રિયા સરળ કરવાની માંગણી કરતા મોદીએ કહયુ હતું કે પરસ્પરના મતભેદો વિકાસમાં આડે આવે છે અને આ જ કારણે આપણે પરસ્પર ક્ષમતાથી ઓછો વેપાર કરીએ છીએ. તેમણે કહયુ હતું કે વેપારના નિયમોને સરળ બનાવવા માટે પહેલ કરવી પડશે. તેમણે કહયું હતું કે ભારત હવે સાર્ક દેશો માટે ૩ થી પ વર્ષ માટે બિઝનેસ વિઝા આપશે. સાથો સાથ તેમણે કહયું હતુ કે ઇલાજ માટે આવતા દર્દીઓ અને તેના સહયકને ભારત તત્કાળ મેડીકલ વીઝા ઉપલબ્ધ કરાવશે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વેપાર, વિકાસ અને ત્રાસવાદ જેવા મહત્વના મુદાઓ ઉઠાવ્યા હતા. તેમણે પાકિસ્તાનને સીધે સીધી રીતે આડે હાથ નહોતુ લીધુ પરંતુ ૨૬/૧૧ હુમલા અને ત્રાસવાદના ખાત્માના શપથનો ઉલ્લેખ કરીને તેમણે ભારતની સ્થિતી સ્પષ્ટ કરી દીધી હતી. મોદીએ પોતાના સંબોધનમાં વારંવાર વિકાસ ઉપર ભાર મુકયો હતો અને એ માટે વ્યાપારને એકમાત્ર માર્ગ બતાવ્યો હતો.
No comments:
Post a Comment