Thursday, 27 November 2014

સાર્કમાં નવાઝની નફફટાઇઃ ઉઘાડા પડયાઃ સભ્‍ય દેશો નારાજ

સાર્કમાં નવાઝની નફફટાઇઃ ઉઘાડા પડયાઃ સભ્‍ય દેશો નારાજ

 કાઠમંડુ તા.ર૭ : સાર્ક સંમેલનમાં ભાગ લઇ રહેલા પાકિસ્‍તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પોતાના નક્કી થયેલા કાર્યક્રમ પહેલા જ સાર્ક સંમેલન છોડીને પોતાને દેશ પાછા ફરી રહ્યા છે. જીયો ટીવીના જણાવ્‍યા પ્રમાણે નવાઝ શરીફ આજે સાંજે કાઠમંડુથી પાકિસ્‍તાન જવા રવાના થઇ જશે. જયારે તેમનો પરત ફરવાનો કાર્યક્રમ શુક્રવારનો હતો.
   સાર્ક દેશોના સંમેલનમાં પાકિસ્‍તાનની અવળચંડાઇની આકરી ટીકા થઇ રહી છે. સાર્કના સભ્‍ય દેશો એ બાબતને લઇને નારાજ છે કે, પાકિસ્‍તાન ત્રણ મહત્‍વની સમજુતીના આડે આવી રહ્યુ છે. ભારતનું કહેવુ છે કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં અનેક સભ્‍ય દેશોએ પાકિસ્‍તાનના આ જક્કી વલણની ટીકા કરી છે. ભારતનું કહેવુ છે કે, મોદી સાથેની વાતચીતમાં અનેક દેશોના નેતાઓએ પાકિસ્‍તાનના આ અડીયલ વલણની ટીકા કરી અને નિરાશા વ્‍યકત કરી હતી. આ દરમિયાન નવાઝ શરીફની વાપસીના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે.
   પાકિસ્‍તાની ન્‍યુઝ ચેનલ જીયો ટીવીના જણાવ્‍યા પ્રમાણે સાર્ક સંમેલનમાં નવાઝ શરીફના બધા કાર્યક્રમો આજે સાંજ સુધીમાં પુરા થઇ જશે તેથી તેમણે નક્કી કરેલા સમય પહેલા જ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે ઉદ્દઘાટન પ્રસંગે મોદીએ નવાઝ શરીફને અવગણ્‍યા હતા. બંને ૩ કલાક સુધી એક મંચ ઉપર હતા છતાં બંનેએ એકબીજા સાથે હાથ ન મિલાવ્‍યા એટલુ જ નહી જોયુ પણ નહી.
   સાર્ક સમજુતીમાં આડે આવ્‍યા બાદ નવાઝ અલગ પડી ગયા છે. તેઓ આજે સાંજે ૬ વાગ્‍યે જ પાકિસ્‍તાન જવા રવાના થઇ જશે. જયારે પહેલા તેઓ શુક્રવારે ૭ વાગ્‍યે નીકળવાના હતા. જો કે પાકિસ્‍તાન બીજુ કારણ બતાવે છે, તે કહે છે કે, શુક્રવારની સવારે વધારે ઉડ્ડયનો હોવાથી નવાઝ શરીફે વહેલા નીકળવાનો નિર્ણય લીધો છે.
   આ સંમેલનમાં પાકિસ્‍તાનના અડીયલ વલણને કારણે અનેક મહત્‍વના કરારો થઇ શકયા નથી. તેમાં મોટર વ્‍હીકલ એકટ પણ સામેલ છે. પાકિસ્‍તાન આની પાછળ પોતાની આંતરિક પ્રક્રિયા પુરી નહી થયાનું બહાનુ બતાવે છે. નવાઝે પણ આ મામલે કશુ બોલવાનો ઇન્‍કાર કર્યો છે. આજે સાર્ક સંમેલનનો અંતિમ દિવસ છે. જેમાં નેપાળ સહિત બધા દેશોનો પ્રયાસ હશે કે માર્ગ, રેલ્‍વે અને વિજળીના માધ્‍યમથી સાર્ક દેશોની વચ્‍ચે કનેકટીવીટીના પ્રસ્‍તાવિત મુસદ્દા પર નવાઝ શરીફને મનાવી લેવાય. ભારતે સાર્ક દેશો વચ્‍ચે કનેકટીવીટી વધારવાનો પ્રસ્‍તાવ મુકયો હતો, જેનો પાકિસ્‍તાને વિરોધ કર્યો હતો.
   આજે અંતિમ દિવસે બધા વડાઓ રીટ્રીટ કાર્યક્રમમાં ભાગ લેશે. બધા નેતાઓ હેલિકોપ્‍ટરથી કાઠમંડુથી ઢુલીખેલ જશે. જયાં બધાની નજર મોદી અને નવાઝ શરીફ ઉપર કેન્‍દ્રીત હશે. હવે જોવાનુ છે કે શું બંને નેતાઓ આજે મળે છે કે પછી એકબીજાને અવગણે છે ? ગઇકાલે રાત્રે ડિનર દરમિયાન બંને નેતાઓ એક જ ટેબલ ઉપર બેઠા હતા અને એકબીજાને હસ્‍યા હતા પરંતુ કોઇ વાતચીત થઇ ન હતી.
   દરમિયાન આજે સાર્કની કમાન ભારતને સોંપવામાં આવશે એટલે કે સાર્કના ચેરમેન પદે ભારત રહેશે. આજે અંતિમ દિવસે મોદીના અનેક કાર્યક્રમ છે. બપોરે નેપાળના વડાપ્રધાને મોદી માટે લંચ રાખ્‍યુ. ૩-૪પ કલાકે સીટી હોલમાં સાર્કનું સમાપન થશે. મોદી રાત્રે ૯-૪પ કલાકે દિલ્‍હી માટે રવાના થશે.

No comments:

Post a Comment