સફેદ આરસથી ચમકતો તાજમહેલ પ્રેમીજનો માટે પ્રેમનું સ્મારક છે. જો કે, સમયાંતરે તેની ઉપર વિવાદાસ્પદ નિવેદનો, વિવાદો કે અસ્તિત્વના જોખમ પણ ઊભા થયા છે. છતાં, આજે 350 વર્ષો બાદ પણ પ્રેમનું આ સ્મારક ઊભું છે. જે મોઘલ બાદશાહ શાહજહાંએ તેમના પત્ની મુમતાઝ માટે બનાવ્યું હતું.
સરકાર પાસેથી લઈ વક્ફને સોંપો તાજ
યુપીના વક્ફ પ્રધાન આઝમખાને તાજેતરમાં મળેલી વક્ફ બોર્ડની બેઠક દરમિયાન આઝમ ખાને મમરો મુક્યો હતો કે, તાજમહેલ વક્ફને સોંપી દેવું જોઈએ. આઝમખાનના કહેવા પ્રમાણે, મુસ્લિમ સમુદાય અને તાજમહેલ વચ્ચે અનોખો સંબંધ છે. આઝમ ખાને તર્ક આપ્યો હતો કે, તમામ કબરો કેન્દ્રીય વકફ બોર્ડ હેઠળ આવે છે. તાજમહેલમાં મુમતાઝ તથા શાહજહા એમ બે મુસલમાનોની કબરો છે. વ્યંગમાં આઝમ ખાને કહ્યું હતું કે એ વાત અલગ છેકે કબરની ઉપર 'ઘટિયા' ઈમારત આવેલી છે. છતાં તેમાંથી જો જંગી આવક થતી હોય તો વક્ફને આપવી જોઈએ. અન્યથા તે કેન્દ્ર સરકારનો મુસ્લિમોને અન્યાય છે.
એક વર્ષમાં પ્રેમ ઉભરાયો
એક વર્ષ પહેલા જાન્યુઆરી 2013માં આઝમખાને તાજમહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તે સમયે આઝમખાને કહ્યું હતું કે, જો કોઈ ટોળું તાજમહેલને તોડી પાડવા માટે તૈયાર થાય તો તેઓ ટોળાનું નેતૃત્વ કરશે. કારણ કે તેઓ માને છેકે, પ્રજાના પૈસે પ્રેમિકા માટે ભવ્ય ઈમારત બનાવવાનો કોઈ પણ શાસકને અધિકાર નથી.
શું નુકશાન?
તાજમહેલમાંથી સરકારને હજૂ સુધી ખાસ કોઈ આવક થઈ નથી. કારણ કે તેની જાળવણી અને મરમ્મતનો ખર્ચ જંગી છે. તાજેતરમાં જ તાજમહેલના ખર્ચ કરતા આવક વધુ થઈ છે. એટલે આઝમ ખાનની દાઢ ડહળકે તે સ્વાભાવિક છે. જો યુપી વક્ફ બોર્ડને તાજમહેલનો કબ્જો સોંપી દેવામા આવે તો તેનું વેચાણ પણ કરી શકે છે. ભૂતકાળમાં આવા કિસ્સા નોંધાયા છે.
તાજમહેલના સ્થાને હિન્દુ મંદીર
તાજમહેલ: ધ ટ્રુ સ્ટોરીમાં પ્રોફેસર પી.એન. ઓક નોંધે છે કે, તાજમહેલના નામે લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં તે જગ્યાએ તેજો મહાલયના નામથી શિવાલય હતું. આગ્રાના રાજપૂતો દ્વારા ત્યાં પૂજા થતી. જયપુરના રાજા જયસિંહ તેજો મહાલયના માલિક હતા. તે સમયે શાહજહાંએ વિનંતી કરીને તેનો કબ્જો લીધો હતો અને ત્યાં મુમતાઝને દફનાવવમાં આવ્યા હતા. તે સમયમાં આવી પરંપરા સામાન્ય હતી. આ વાતનો ઉલ્લેખ શાહજહાંના બાદશાહનામામાં પણ જોવા મળે છે. એ સમયના અમુક પ્રવાસ વર્ણનોને ટાંકતા ઓક નોંધે છે કે કોઈ પ્રવસવર્ણનમાં તેનો ઉલ્લેખ જોવા નથી મળતો. તાજ મહેલમાં મહેલનું નામ છે કોઈ કબર કે મકબરાનું નહીં. તાજમહેલના દરવાજાની કાર્બન ડેટિંગ પદ્ધતિ કરવાથી માલૂમ પડ્યું હતું કે તે લાકડું શાહજહાં કરતા પણ ત્રણસો વર્ષ જૂનું હતું. ઓકે ભારતના સંસદમાં અરજ કરીને માંગ કરી હતી કે તેને હિન્દુ સ્મારક જાહેર કરવામાં આવે.
No comments:
Post a Comment