ભારતમાં અંધશ્રદ્ધા અને વહેમોનું સામ્રાજ્ય ભયંકર રીતે છવાયેલું છે.લોકોના માનસમાં એવી એવી અંધશ્રદ્ધા
ને વહેમોનાં ભૂત ભરાયેલાં હોય છે કે જેની વાત સાંભળીને આપણને ચક્કર આવી જાય. આઘાત તો ત્યારે લાગે કે જ્યારે કહેવાતા ભણેલાગણેલા ને શિક્ષિત લોકો પણ આવી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય ને આ લોકોમાં આપણા રાજકારણીઓ પણ આવી જાય. નેતા તરીકે એ લોકોની ફરજ છે કે લોકોને સાચી વાત સમજાવે ને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કહે. કમનસીબે એ લોકોએ પોતે અંધશ્રદ્ધા ને વહેમોથી મુક્ત છે એવું સાબિત કરીને લોકોમાં દાખલો બેસાડવાનો હોય તેના બદલે એ લોકો પોતે જ અંધશ્રદ્ધાનો શિકાર બનેલા હોય છે ને આવી અંધશ્રદ્ધાઓને પોષતા હોય છે. આ માહોલમાં કોઈ મુખ્યમંત્રી વરસોથી વ્યાપેલા વહેમને અવગણે ને અંધશ્રદ્ધાને તોડવાની હિંમત કરે ત્યારે ચોક્કસ આનંદ થાય. સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી ત્યારે એવી જ લાગણી થઈ. યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે કેમ કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં વરસોથી એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે, ઉત્તર પ્રદેશનો જે પણ મુખ્યમંત્રી નોઈડાની મુલાકાતે જાય એ પતી જાય. એ ગમે તેવો જોરાવર હોય પણ મહિના-બે મહિનામાં તો તેનું પડીકું થઈ જાય ને તેણે બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા થઈ જવું પડે.
આ માન્યતાના કારણે ઉત્તર પ્રદેશનો કોઈ મુખ્યમંત્રી નોઈડા જતો નહોતો. નોઈડા જવાની વાત આવે તો એ સાંભળીને જ ટાઢિયો તાવ ચડી જતો. યોગી આદિત્યનાથ ગાદી પર બેઠા ત્યારથી એ નોઈડા જશે કે નહીં તેની અટકળો તેજ બની ગયેલી. યોગીજી ભગવાં કપડાં પહેરે છે ને હિંદુવાદની વાતો કરે છે તેના કારણે મોટા ભાગના લોકો તેમને દેશી માણસ માનીને બેઠા છે. તેના કારણે યોગીજી નોઈડા જઈને ઘરભેગા થવાનું જોખમ નહીં લે એવું બધા માનતા પણ તેના બદલે યોગીજી ધૂમધડાકાભેર નોઈડા ઉપડી ગયા ને અંધશ્રદ્ધાની ઐસીતૈસી કરી નાંખી.
યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે પણ તેની વાત કરતાં પહેલાં આ તૂત કઈ રીતે શરૂ થયું તેની વાત કરવી જરૂરી છે. આ તૂત 1980ના દાયકામાં શરૂ થયેલું. જુવાનીના દિવસોમાં યુવા કૉંગ્રેસની નેતા ઉજ્જવલા શર્મા સાથે કરેલી કામલીલાના કારણે પેદા થયેલા દીકરાએ કેસ કર્યો તેમાં જેમના ધોળામાં ધૂળ પડી એ નારાયણ દત્ત તિવારી ઉર્ફે એન.ડી. તિવારીના કારણે આ તૂત શરૂ થયેલું. તિવારી તો આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે રાજભવનને પણ તેમણે કોઠો જ બનાવી દીધેલો. રાજભવનમાં એ પોતાની પૌત્રીની ઉંમરની છોકરીઓ સાથે કામલીલા કરતા હતા ને એક ટીવી ચેનલે તેનું જીવંત પ્રસારણ કરી નાંખેલું. તિવારી 1984માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા એ વખતે નોઈડા ગયેલા. ઓગસ્ટ 1985માં તેમણે નોઈડામાં પધરામણી કરી ને સપ્ટેમ્બરમાં તો તેમનું પડીકું થઈ ગયું. તિવારી ગાદી પર બેઠા એ વખતે ઈન્દિરા કોંગ્રેસનાં કર્તાહર્તા હતાં ને પછી તેમની હત્યા થઈ એટલે રાજીવ ગાંધી ગાદી પર બેઠા પછી થોડા જામ્યા ત્યારે તેમણે તિવારીને રવાના કરી દીધેલા. તિવારી એ જ તાકડે નોઈડા ગયેલા તેથી ખરેખર તો કાગનું બેસવું ને ડાળનું પડવું જેવો ઘાટ થયેલો પણ એ વખતે ઘૂસપૂસ શરૂ થઈ ગયેલી કે તિવારીને નોઈડા ફળ્યું નથી. તિવારી પછી વીરબહાદુર સિંહ ઉત્તર પ્રદેશની ગાદી પર બેઠા હતા. વિરબહાદુર સિંહે પોણા ત્રણ વરસ લગી સુખરૂપ રાજ કર્યું ને તેમને કોઈ વાંધો નહોતો પણ એ 1988માં નોઈડા ગયા ને મહિનામાં તેમનું પડીકું થઈ ગયું. વીરબહાદુર સિંહે ઘરભેગા થવું પડ્યું તેનું કારણ વિદ્યાર્થીઓનું આંદોલન હતું પણ સળંગ બે મુખ્યમંત્રીઓ નોઈડામાં પધરામણી કર્યાના મહિનામાં જ ઘરભેગા થઈ ગયા તેના કારણે એવી વાતો શરૂ થઈ કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જાય છે એ પતી જાય છે. આપણે ત્યાં મીડિયા આવી બધી વાતો ફેલાવવામાં બહુ ઉત્સાહ બતાવે છે તેથી આ વાત બરાબર ફેલાઈ ને વહેમી રાજકારણીઓના મનમાં એવી ચોંટડૂક થઈ ગઈ કે પછી કોઈ મુખ્યમંત્રી નોઈડા જવાની હિંમત જ નહોતો કરતો. યોગીનું હવે શું થશે તે ખબર નથી પણ આપણા બીજા રાજકારણીઓએ યોગી પાસેથી પ્રેરણા લેવી જોઈએ ને આવી અંધશ્રદ્ધાને તાબે થવાના બદલે તેમણે હિંમત બતાવવી જોઈએ. વાસ્તવમાં આ બધાં તૂત કેમ ચાલે છે એ પણ તેમણે સમજવું જોઈએ. નોઈડા અંગે આવી માન્યતા કેમ ચાલે છે તે અંગે એક અધિકારીએ બહુ સરસ વાત કરી છે. તેમના કહેવા પ્રમાણે નોઈડા દૂઝણી ગાય છે ને ત્યાં ઉપરની કમાણી મબલખ છે. રાજકારણીઓ નોઈડા આવતા થાય ને તેમને આ વાતની ખબર પડે તો એ લોકો જ બધું દોહી જાય એટલે અધિકારીઓએ નોઈડા આવનારા મુખ્યમંત્રી ઘરભેગા થાય છે તેવી વાત ચલાવી. બાકી, આ વાતમાં દમ નથી.