Saturday, 1 July 2017

બીટી રાયડાની ખેતીને મંજૂરી : સરકાર સાવધ રહે

દેશભરમાં અત્યારે જાણે ખેડૂતો માટે દેવાનાબૂદી જ મહત્ત્વપૂર્ણ મુદ્દો હોય તૈવી ચર્ચાઓ ચાલે છે પણ ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે કે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધુ ઉત્પાદનનાં સુફિયાણાં બહાનાં નીચે જિનેટિકલી મોડિફાઇટ (જીએમ) બિયારણો દેશમાં ઘુસાડીને ભારતની ખેતી, જમીન, આરોગ્ય અને પર્યાવરણને જે નુકસાન પહોંચાડશે તૈ તરફ કેન્દ્ર સરકારે સાવધ રહેવાની જરૂર છે. દેશમાં અનેક પ્રકારના વિરોધ વચ્ચે ૨૦૦૦માં ગેરકાયદે બીટી કપાસ ઘુસાડાયો અને ૨૦૦૨માં તૈની કાયદેસર મંજૂરી મળી. વધુ આવક અને ઉત્પાદનની લાલચે ખેડૂતો બીટી કપાસની બહુરાષ્ટ્રીય જાળમાં ફસાયા પણ પાંચ વર્ષ પછી હવે ખેડૂતોને સાચો ખ્યાલ આવ્યો અને બીટી કપાસનું વાવેતર કરવાને બદલે ખેડૂતો બીજા પાકો તરફ વળ્યા. આવો જ વિરોધ બીટી રીંગણના પાક સામે યુપીએ સરકાર વખતૈ દેશભરમાં થયો ત્યારે તૈ સમયના કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દેશભરનાં રાજ્યોનો વ્યાપક પ્રવાસ કરીને ખેડૂતોની વાત સાંભળીને બીટી રીંગણને ખેતીનાં હિતમાં મંજૂરી ન આપી. જાણીતા કૃષિ વિજ્ઞાની સ્વામીનાથને તૈ સમયે કહેલું કે, લાંબા સમયની કસોટીઓ, સ્વતંત્ર પરીક્ષણો અને રીંગણની દેશી જાતો સામે ખતરો ઊભો ન થાય તૈવી પૂરી પ્રતીતિ થયા વિના આવા જીએમ પાકની ખેતીની પરવાનગી આપી શકાય નહીં.
બીટી કપાસ સમયે કહેવાયેલું છે કે, બીટી કપાસથી જીંડવાની ઈયળોનો ઉપદ્રવ ઘટશે અને જંતુનાશકોની વપરાશ ઘટશે. હવે ખેડૂતોને સમજાયું છે કે, ગુલાબી ઈયળને બીટીનાં ઝેરની કોઈ અસર થતી નથી. ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. ૨૦૦૨ની સરખામણીમાં ૨૦૧૪માં જંતુનાશકોનો ઉપયોગ ૧૧ ટકા વધ્યો હોવાનું નાગપુરના કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્રે જણાવ્યું છે. કપાસમાં ૨૦૦૮માં રાસાયણિક ખાતરોની વપરાશ હેક્ટર દીઠ ૧૩૧ કિલો હતી તૈ ૨૦૧૩માં ૨૨૪ કિલો થઈ છે. આમ બીટી પછી વધ્યો છે અને એક હેક્ટરમાં બીટીની ખેતીથી ૧,૧૭૪ ગ્રામ બીટીનું ઝેર જમીનમાં ઉમેરાય છે. આમ બીટીનું ઝેર અને ઉપર છાંટેલ દવાનું ઝેર ઉમેરાતાં જમીનમાં વધુ ઝેર ભળે છે. હવે ખેડૂતોને બીટી કપાસની વિપરીત અસરોનો ખ્યાલ આવવા માંડયો છે અને ખેડૂતો બીટી કપાસને બદલે મૂળ જૂના પાક તરફ વળવા લાગ્યા છે અને ખેતીખર્ચ ઘટે તથા જમીન-પાણી બગડે નહીં તૈ માટે ખેડૂતો સજીવ ખેતી તરફ વળવા લાગ્યા છે. દેશનાં ૧૦ જેટલાં રાજ્યોએ તો સજીવ ખેતીના સેલ શરૂ કર્યા છે. તો ગુજરાતમાં તો સજીવ ખેતીની યુનિવર્સિટી પણ સ્થપાવાની છે, ત્યારે જીએમ પાકોને મંજૂરી આપવી યોગ્ય નથી. રાસાયણિક પાકને બદલે અનુભવે સજીવ ખેતી તરફ વળવું પડયું છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે જીએમ રાયડો ઘુસાડવાની તૈયારી કરી રહી છે અને હવે સીધી નહીં તો આડકતરી રીતૈ ‘સ્વદેશી જીમ’નાં નામે ૨૮ ટકા વધુ ઉત્પાદન આપતી બીટી રાયડાની જાતની મંજૂરી મેળવવા ભારે પ્રયાસો ને ભરપૂર કોશિશ થઈ રહી છે. જેની સામે ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સત્તાપક્ષની ભગિની સંસ્થાઓ, દેશનાં ૫૬થી વધુ ખેડૂત સંગઠનો, બસો જેટલા કૃષિ વિજ્ઞાનીઓ, સર્વોચ્ચ અદાલતના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને સચિવો વગેરેએ કેન્દ્ર સરકારને બીટી રાયડાને મંજૂરી ન આપવા અનુરોધ કર્યો છે. દેશમાં ૪૬ ટકા રાયડો પકવતાં રાજસ્થાનની રાજ્ય સરકારે પણ વિરોધ નોંધાવ્યો છે. બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવાં રાજ્યોમાં પણ ખેડૂતોનો વિરોધ છે. ગુજરાતમાં તો જીએમ રાયડાની ખેતી તો દૂરની વાત રહી તૈના પ્રયોગો કે અખતરા કરવા સામે પણ પ્રતિબંધ છે ત્યારે કેન્દ્ર સરકારે બીટી રાયડાની ખેતીને મંજૂરી આપતાં પહેલાં સો વાર વિચારવાની જરૂર છે. બીટી રાયડાની ખેતીથી ખાદ્યતૈલનું ઉત્પાદન વધતાં તૈલની આયાતમાં રાહત થશે તૈવી દલીલ મોટાપાયે બીટી રાયડાના હિમાયતીઓ કરી રહ્યા છે પણ આ માટે પૂરતાં વૈજ્ઞાનિક પરીક્ષમો કરાયાં નથી. જે ભારતના કૃષિ વિજ્ઞાનીઓનું પણ એક પ્રકારનું અપમાન છે. જીએમ રાયડાથી પણ વધુ ઉત્પાદન આપતી દેશી જાતો ભારતીય કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે અને તૈનો ઉપયોગ ખેડૂતો કરે પણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો બીટી કપાસ બાદ બીટી રાયડાને મંજૂરી મળી જાય તો મકાઈ સહિત બીજી ૭૨ જેટલી જીએમ જાતો ભારતમાં ઘુસાડવાનો રીતસરનો વ્યૂહ છે. આજે ખાદ્યતૈલ બાબતૈ ભારત ૯૭ ટકા સ્વાવલંબી છે છતાં ખાદ્યતૈલની આયાતો પરનાં નિયંત્રણો હટાવી લેવાયાં. પરિણામે ભાવો ઘટતાં ખેડૂતોનો તૈલીબિયાંની ખેતીમાંથી રસ ઊડી ગયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવમાં પણ એક વર્ષમાં ઘટાડો થયો છે. આથી તૈલીબિયાંનું વધુ ઉત્પાદન આપતી જાતો શોધાયા છતાં રાયડાનો વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન અને હેક્ટર દીઠ ઉત્પાદન છેલ્લા દાયકામાં સ્થગિત થઈ ગયાં છે યા ઘટયાં છે અને ખાદ્યતૈલની આયાત વધતી રહી છે. બીટી રાયડાથી ખેતીની જમીનમાં ઝેર વધશે, પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થશે, મધમાખી ઉછેરને પણ વિપરીત અસર થશે. વળી, એક ખેતરમાં બીટી રાયડો હોય તો તૈની અસર બાજુનાં ખેતરની દેશી જાતના રાયડાની ખેતીને પણ થશે. ખેડૂતોને દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડશે. આથી કેન્દ્ર સરકારે પૂરું પરીક્ષણ અને કસોટી કર્યા વિના કે ખેડૂતો તથા કૃષિ વિજ્ઞાનીઓના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા વિના યા નજરઅંદાજ કરીને નિર્ણય લેતાં પહેલાં સાવધાનીપૂર્વક વર્તવાની દેશની ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતમાં જરૂર છે.
 સંદેશ: -મણિલાલ એમ. પટેલ

No comments:

Post a Comment