Tuesday, 15 August 2017

ભારતનો આઝાદી દિવસ ૧૫ ઓગસ્ટે અને પાકિસ્તાનનો 14મીએ શા માટે ઊજવાય છે ?

ભારત આઝાદ કેવી રીતે થયો અને ત્યારબાદ શું બન્યું તથા બની રહ્યું છે તેનાથી આપણે સુપેરે અવગત છીએ, તેમ છતાં ભારતની આઝાદી માટે પંદર ઓગસ્ટ શા માટે પસંદ કરવામાં આવી તે ખૂબ જ રોચક છે. બ્રિટનની સંસદ દ્વારા ૧૯૪૭માં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો અને ભારતને આઝાદ કરાયું. આ આઝાદી પણ લોહીથી ખરડાયેલી હતી કારણ કે ભાગલા થયા સાથે સાથે પાકિસ્તાનનો પણ ઉદય થયો. આ ભાગલા દરમિયાન થયેલા નરસંહારમાં પંદર લાખ કરતાં વધારે લોકોનો ભોગ લેવાયો હોવાનું અનુમાન છે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લાલ કિલ્લા ઉપરથી દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પ્રવચન આપ્યું અને ત્રિરંગો લહેરાવ્યો. ત્યારથી અત્યાર સુધી આ પરંપરા યથાવત્ છે અને દરેક વડા પ્રધાન લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવીને દેશનો સંબોધન કરે છે.
આમ જોવા જઈએ તો ૧૯૨૯માં કોંગ્રેસના પ્રમુખપદે રહેલા જવાહરલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજની હાકલ કરી હતી. તેઓ અંગ્રેજોને દેશ છોડી જવા અને ભારતને આઝાદ કરવાની હાકલ કરી રહ્યા હતા. તે વખતે ૧૯૩૦માં ૨૬ જાન્યુઆરીને દેશના આઝાદી દિવસ તરીકે જાહેર કરાયો અને કોંગ્રેસે દર વર્ષે તે દિવસને ઊજવવાનું નક્કી કર્યું. ભારત આઝાદ થયો ત્યાં સુધી આ પરંપરા ચાલુ જ રહી. ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરાયો.
બ્રિટન ૧૯૪૮માં સંપૂર્ણ આઝાદી આપવા ઈચ્છતું હતું
બ્રિટનની સંસદ દ્વારા લોર્ડ માઉન્ટબેટનને જણાવવામાં આવ્યું કે, તેઓ ૩૦ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને તમામ અધિકારો અને સત્તા સોંપી દે. આ દરમિયાન ભારતના પીઢ રાજકારણી અને સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીએ જણાવ્યું કે, લોર્ડ માઉન્ડ બેટન ૧૯૪૮માં સત્તા સોંપશે ત્યાં સુધીમાં કશું જ લેવા જેવું બાકી રહ્યું નહીં હોય. આ એક મહત્ત્વની દલીલ અને કારણના લીધે માઉન્ટબેટને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનને એ પણ ભય હતો કે બ્રિટનની સત્તામાંથી જેટલા દેશો આઝાદ થયા છે ત્યાં આઝાદી બાદ નરસંહાર થયા હતા. ભારતમાં પણ તેમ ન થાય તે માટે આઝાદીની તારીખ એક વર્ષ આગળ ખેંચાઈ હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હિંસા અથવા નરસંહાર થશે તો ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. માઉન્ટબેટનની અરજીના આધારે બ્રિટનની સંસદે ૪ જુલાઈ ૧૯૪૭માં ભારતની આઝાદીના ખરડાને મંજૂરી આપી દીધી. આ રીતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ્ય મળી ગયું પણ સાથે સાથે બીજા દેશનો પણ ઉદય થયો જે હતો પાકિસ્તાન.
માઉન્ટબેટને થોડા સમય બાદ જણાવ્યું કે, મેં આઝાદી માટે આ તારીખ પસંદ કરી તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મને કરાયેલા સવાલના જવાબ દરમિયાન મેં આ તારીખ આપી હતી. હું માત્ર એક જ બાબત બતાવવા માગતો હતો કે તમામ બાબતનું આયોજન મેં કર્યું હતું. તે લોકોએ મને સવાલ કર્યો કે અમે તારીખ નક્કી કરીએ ત્યારે મને એંધાણ હતા કે તેઓ વહેલી જ તારીખ રાખશે. મારે ઘણા કામ કરવાના બાકી હતા અને મારા અંદાજ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર પહેલાં હું કામ પૂરું કરી શકું તેમ નથી. તેના કારણે મેં ૧૫ ઓગસ્ટ પસંદ કરી હતી. તેની પાછળ એક તર્ક એવો પણ હતો કે, બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સ્વીકારેલી શરણાગતિની બીજી વરસી હતી.
પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે શા માટે આઝાદી દિવસ ઊજવે છે?
પાકિસ્તાન આઝાદ થયા પછી મોહમ્મદ અલી ઝીણા થોડા ખુશ હતા કે તેમને આઝાદ દેશ મળ્યો. તેમનો આ આનંદ લાંબો સમય ટક્યો નહીં. આઝાદીના ૧૩ મહિના બાદ તેઓ મૃત્યુ પામ્યા. અંતિમ દિવસો દરમિયાન ઝીણા સાહેબને એક જ આનંદ હતો કે ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા હતા. તેમનો આ આનંદ થોડા મહિનાઓમાં દૂર થઈ ગયો. પાકિસ્તાનની પ્રજાને તે સમયે રમાઈ રહેલી રાજકીય રમતોની જાણ જ નહોતી. સત્તાની સાઠમારીને નામે પાકિસ્તાનને ભારત વિરોધી બનાવાઈ દેવાયું અને તેને ભારતથી જુદું પાડવા માટે પાકિસ્તાનનો આઝાદી દિવસ ભારત કરતાં એક દિવસ પહેલાં એટલે કે ૧૪ ઓગસ્ટે ઊજવવાનું શરૃ કરી દેવાયું. આ તર્ક ઘણા રાજકારણીઓ અને તે સમયે લોકો આપતા હતા પણ વાસ્તવિકતા ક્યારેય બહાર આવી જ નથી.
બીજી તરફ એવો પણ તર્ક છે કે, ૧૯૪૮માં પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ બદલી કાઢયો કારણ કે તે દરમિયાન રમજાન મહિનો ચાલતો હતો અને ૨૭મો રોજો આવતો હતો જે ખૂબ જ પવિત્ર ગણાય છે. આ રોજા સાથે તારીખની હાલાકી ન પડે તેના કારણે પાકિસ્તાને આઝાદી દિવસ એક દિવસ અગાઉ એટલે કે ૧૪ ઓગસ્ટે મનાવવાનો શરૃ કરી દીધો. ત્યારથી આજદિન સુધી ૧૪ ઓગસ્ટે જ પાકિસ્તાનમાં આઝાદીની ઉજવણી થાય છે.

No comments:

Post a Comment