Tuesday, 19 May 2015

શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જીલ્લો બનાસકાંઠા)

સંત શ્રી દતશરણાનંદજી મહારાજ (ગૌધામ - પથમેડા), પ્રેરિત માંદી, લુલી - લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગૌશાળા તથા ગૌ હોસ્‍પિટલ શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જીલ્લો બનાસકાંઠા) એ માંદી ગાયોની સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્‍પિટલ તથા ગૌશાળા છે. જયાં હાલ લગભગ ૮૦૦૦ જેટલી ગાયોની સારવાર તથા નિભાવ થઈ રહ્યો છે. શ્રી જલારામ ગૌશાળા ભાભર પૂણ્‍યની પરબડી છે અહીં માતાઓની દેવભાવથી સેવા, સુશ્રુષા, બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળાની સ્‍થાપના આજથી ૩૫ વર્ષ પહેલા એકલ - દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ શરૂઆતથી ગૌ સેવકોનો એક જ ભાવ રહેલ કે આવેલ ગાય દુઃખી ના થવી જોઈએ અને આવેલ ફંડનો માત્ર ગૌસેવાના કાર્યમાં જ ઉપયોગ થવો જોઈએ.
   ગૌશાળાને વર્તમાન યુગનો ચમત્‍કાર એટલે કહેવુ પડે છે કે આજ સુધી ટ્રસ્‍ટીઓની  કોઈ વિધિસરની મીટીંગ મળી નથી અને આ ગૌશાળામાં કયારેય નાણાની ઘટ નથી પડી કે નથી થયો વધારો. જોઈએ એટલુ જ જલાબાપા આપી દે છે. કયારેય ફિકસ ડિપોઝીટ મૂકવાનો પ્રસંગ નથી આવ્‍યો કે નથી વ્‍યાજ મેળવવાનો પ્રસંગ આવ્‍યો.
   શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં ૬ એકર ભૂમિમાં ગૌ હોસ્‍પિટલ બનાવવામાં આવેલ છે. ૨૦ એમ્‍બ્‍યુલન્‍સો દ્વારા લગભગ ૨૫૦ કિ. મી. સુધીથી રોજેરોજ ૨૦ થી ૨૫ માંદી ગાયોને લાવવામાં આવે છે. ૩૫ ડોકટરો અને (એલ. આઈ.) નો સ્‍ટાફ ઓપરેશનો તથા પાટાપીંડી કરી ગાયોને સાજી કરે છે. ગાયોના કેન્‍સર વોર્ડ, આહ (મૂત્રાશયનો ભાગ બહાર નીકળી જવો) વોર્ડ, ફેકચર વોર્ડ, સીઝેરીયન વોર્ડ, સુરદાસ વોર્ડ, આઈ. સી. યુ. યુનિટ, બર્ન વોર્ડ, કીડની વોર્ડ અને વૃદ્ધાશ્રમ વોર્ડ જેવા અલગ અલગ વોર્ડમાં ગાયોને રાખીને સારવાર કરવામાં આવે છે. ફેકચરનો ભોગ બનેલ ગાયો માટે એકસ-રે મશીનની સુવિધાનો ઉપયોગ થાય છે. એસીડથી દાઝેલી ગાયો માટે (એસી) વોર્ડની સગવડ છે. રોજેરોજ જે ગાયો આવે છે તેમાંથી સરેરાશ ૩ થી ૪ ગાયોનું મરણ થાય છે.
   કુલ ૨૫૦ વ્‍યકિતઓના વેતનીક સ્‍ટાફ ગાયોની સારસંભાળમાં રોકાયેલા છે. પ્રતિદિન સરેરાશ રૂ. ૨,૫૦,૦૦૦ ના ખર્ચ સામે ટ્રસ્‍ટીઓ માત્ર ઉતરાયણ ઉપર એક વખત ફાળો ઉઘરાવે છે.
   ગુજરાતના અલગ અલગ શહેરોમાં ૬૦૦૦ જેટલા દાનપાત્રો મૂકેલ છે. જેમાંથી ૬૦ થી ૭૦ હજાર જેટલી રકમ રોજ એકઠી થાય છે. અમદાવાદ ખાતે ગૌશાળાની ઓફીસ છે જયાં ૨૦ વ્‍યકિતઓનો સ્‍ટાફ કાર્યરત છે અને એમ્‍બ્‍યુલન્‍સ માંદી ગાયોને લઈ જવા અમદાવાદ ખાતે જ રહે છે.
   ૩ એકર જગ્‍યામાં સંવર્ધન કેન્‍દ્ર બનાવેલ છે. જયાં સારી ઓલાદની તૈયાર થયેલ ગાયોને સારા સારા ખેડૂતોને ટોકન રાશી સામે આપવામાં આવે છે.
   ગૌશાળામાં માત્ર બિમાર અશકત, વૃદ્ધ ન વિયાઈ શકે તેવી જ ગાયોનો નિભાવ થાય છે. આવા ગૌવંશના નિભાવ હેતુ ગુજરાતની સૌથી આધુનિક ૧૮૦ વિઘામાં પથરાયેલ શ્રી હરીધામ ગૌશાળાનું નિર્માણ કરેલ છે.
   અહિ સરસ મજાના હવા ઉજાસ વાળા શેડો, સરોવર, ઘાસ ગોડાઉનો, ગોવાળધરો અને ઓફીસનું નિર્માણ કરેલ છે. પ્રાતઃ સ્‍મરણીય સંત શ્રી હરીરામ બાપાના આર્શીવાદથી આ ગૌશાળાની સ્‍થાપના કરવામાં આવેલ છે. ગાયોને આપવાનો તમામ ઘાસચારો કટર મશીનથી કાપીને આપવામાં આવે છે. માંદી ગાયોને ખોરાકમાં કપાસખોળ, ટોપરા, ખોળ, બાજરીના રોટલા વગેરે રોજેરોજ સ્‍વયંસેવકો દ્વારા જાતે બેસીને ખવડાવવામાં આવે છે.
   ઉત્તર ગુજરાતના લગભગ દરેક શહેરમાં ગૌ એમ્‍બ્‍યુલન્‍સોની સુવિધા ચાલુ કરાવેલ છે. મા વિનાના નાના - નાના વાછરડાઓને નાના બાળકોની જેમ ટોટીથી દૂધ પીવડાવવામાં આવે છે. શ્રી જલારામ ગૌશાળામાં ગૌસેવા ઉપરાંત માનવ સેવા, ઘાયલ પશુ - પક્ષીઓની સેવા, કીડીઓને કીડીયારૂ વગેરે જીવદયાના કાર્યો થાય છે. મંદબુદ્ધિ, અપંગ, પાગલ, વિધવા, નિરાધાર એવા ૨૩૬ પરીવારોને દર મહિને જીવનનિર્વાહ કીટનું વિતરણ કરવામાં આવે છે.
   ઉતરાયણ ઉપર અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવારનું સુંદર કાર્ય અમદાવાદ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે. સાજા થયા પછી જે પક્ષીઓ ઉડી ના શકે તેવા હોય તે તમામ પક્ષીઓને આજીવન અહીં શ્રી હરીધામ ગૌશાળાના વિશાળ મોર ઘરમાં આશ્રય આપવામાં આવે છે. ૧૫ લાખના ખર્ચે વિશાળ મોરઘરનું નિર્માણ કરવામાં આવેલ છે. ગાયોને પીવાના પાણી માટે વિશાળ સરોવરનું નિર્માણ કરેલ છે. લગભગ ૨૦૦૦ વૃક્ષોથી લહેરાતી આ વિશાળ ગૌશાળાએ જલાબાપાનો વર્તમાનયુગનો ચમત્‍કાર જ સમજો. અહીં નથી કયારેય નાણાના અભાવે કોઈ ગાય ભુખી રહી કે નથી કયારેય ફીકસ ડિપોઝીટો બનાવીએ એટલુ વધારે નાણા આવ્‍યા. જેટલી જરૂર એટલુ શ્રી જલારામ બાપા આપ્‍યે રાખે છે. તેમ આજે અકિલાને આંગણે આવેલા ટ્રસ્‍ટીઓ જણાવે છે. શ્રી હરીધામ જાણે સાક્ષાત પરમપીતા શ્રી ગોપાલ કૃષ્‍ણ જ આ વિશાળ ગૌશાળા ચલાવી રહ્યા હોય તેવુ લાગે છે. ભગવાન શ્રી કૃષ્‍ણે ગાયોની સેવા કરી જગતને રાહ ચીંધ્‍યો, ગાંધી બાપુએ કહ્યું છે કે જયા સુધી ગાય હશે ત્‍યાં સુધી હિન્‍દુ ધર્મ રહેશે. આચાર્ય રજનીશે કહ્યું છે કે વિશ્વનું છેલ્લામાં છેલ્લું પ્રાણી ગાય હશે. આવો ગૌ રૂપી ખજાનો આજે વિનાશને આરે ઉભો છે. તેને  બચાવવા ગામે ગામ જાગૃતિ આવી રહી છે.
   શ્રી હરિરામબાપાની પ્રેરણા તથા તેમના પુનિત આશીર્વાદથી શ્રી હરીધામ ગૌશાળાના કાર્યનો શુભારંભ કરેલ. ગૌસેવા, માનવસેવા, પશુપંખીઓની સેવા અને કીડી જેવા નાના જંતુઓની સેવાનું લક્ષ્ય રાખી શ્રી હરીધામનું નિર્માણ કાર્ય આરંભેલ. પરમાત્‍માની કૃપાથી ૧૮૦ વ્‍દ્યિા જમીન ખરીદી ત્‍યાં ગાયો માટે હવા ઉજાસવાળા શેડો, ઘાસ ગોડાઉન, ગૌશાળા કવાર્ટર, પાણીની વિશાળ ટાંકી, સરોવર, પક્ષીઘર તથા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ વિગેરેનું નિર્માણ કરેલ છે.
   શ્રી હરિધામ ગૌશાળામાં ૧૧૦૦૦ ગાયો માટેનાં આવાસ (શેડો) ગાર્ડન, ઉપેક્ષિત વડીલો માટે ‘‘વકિલનું વૈકુંઠ'' વૃધ્‍ધાશ્રમ, નિરાધાર બાળાઓ તથા માનસિક અસ્‍થીર મહિલાઓ માટે આશ્રમ શાળા, પંચગવ્‍ય આધારીત ઔષધાલય (દવાખાનું) સહ પશુ નિરીક્ષક (એલ.આઇ.) કોલેજની સ્‍થાપના આવા અનેક શુભકાર્યો કરવાના સંકલ્‍પો હોવાનું ભાલીરની ગૌશાળાના ટ્રસ્‍ટીશ્રીઓએ જણાવેલ.
   આવનારા વર્ષોમાં ૧૧૦૦૦ ગાયોના રહેઠાણો, ચરીયાણ, ઉભા કરવાનું વિરાટ કાર્ય ચાલુ છે. શ્રી જલારામ ગૌશાળા એક એવી ગૌશાળા બનવા જઇ રહી છે જ્‍યાં માનવ સેવા, પશુ પંખીઓની સેવા, જીવજંતુઓની સેવાની સરીતા ખળખળ વહી રહી છે, પુણ્‍યશાળીઓને આચમન લેવા તથા સહ પરિવાર પધારવા હૃદયપૂર્વકનું ભાવભીનું નિમંત્રણ અપાયું સંચાલક મંડળ તરફથી છે.
   સેવાની સરીતા ખળખળ વહી રહી છે. તેનાં ન્‍હાઇ પુણ્‍યકમાવા હૃદયપૂર્વક આમંત્રણ છે. અહિં હજારો મુંગા જીવો આપની કરૂણાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. શ્રી જલારામ ગોશાળા પરીવાર (ભાભર, જિલ્લાઃ બનાસકાંઠા)ના ગૌસેવકો લીલાધરભાઇ ઠક્કર (મો.૯૮૨૪૦ ૩૧૧૦૧), પ્રતાપભાઇ ઠક્કર (મો.૯૭૧૪૭ ૩૪૦૦૦), મહેશભાઇ ઠક્કર (મો.૯૭૧૪૭ ૩૧૦૦૦), (ટ્રસ્‍ટીઓ), તથા વિશાલભાઇ ઠક્કર,
દાનપેટી અવશ્‍ય મૂકાવો

   જલારામ ગૌશાળાનુ રોજનું ખર્ચ રૂ. અઢી લાખ જેટલું થઇ જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય આ મહેવતને સાચી ઠેરવે એવી વાત છે. જલારામ ગૌશાળાની દાનપેટીઓ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મુકી છે. લોકો રોજગારના સ્‍થળે અથવા ઘરમાં પૂજાના સ્‍થળે દાનપેટી રાખી ૫ રૂપીયા, ૧૦ રૂપીયા દાનપેટીમાં મુકી ગૌદાન આપે છે. આમ આ નાની નાની દાનની સરવાણી સરિતા બની માતબર આવક દાનપેટીના માધ્‍યમથી થઇ છે. આગ્રહભરી વિનંતી છે કે, આપને ત્‍યાં તથા આપના મિત્ર વર્તુળ-સગાસંબંધીઓના ધંધાના સ્‍થળે આજે જ દાનપેટી મુકાવી આંગળી ચીંધ્‍યાનું પુણ્‍ય મેળવો

આપનું દાન... અમારૂં જીવન...

આપનો જન્‍મદિન અમારો અભયદિન બનાવો.
આપના લગ્નોત્‍સવને અમારો જીવનોત્‍સવ બનાવો.
સ્‍વજનના મૃત્‍યુનો શોક ગૌદાનથી હળવો બનાવો.
ધાર્મિક મહોત્‍સવને જીવદયાનો પણ મહોત્‍સવ બનાવો.
આપની માંદગીમાં પશુઓને શાતા આપી પુણ્‍યનું ઉપાર્જના કરો અને સાજા થાઓ.
અબોલ જીવો આપના પ્રત્‍યે આશાભરી મીટ માંડીને બેઠા છે.
આપ તેમના તારણહાર બની શકો છો.

ગૌમાતા માટે આપણે શું કરવું જોઇએ?


   ગૌસેવા માટે પ્રત્‍યેક કુટુંબે ૧ ગાયના નિભાવ જેટલી રકમ દૈનિક ૩૦ રૂ.ના ગુણાંકમાં નજીકની ગૌશાળામાં જમા કરાવવી જોઇએ, દરેક વેપારીએ તેની વાર્ષિક આવકના ઓછામાંઓછા ૧૦ ટકા ગૌદાન માટે વાપરવા જોઇએ, ગૌ માતાના દૂધ- દહિં, ઘીના તેમજ ગૌમૂત્રની દવાઓનો ઉપયોગ કરવો તેમજ પ્રચાર- પ્રસાર કરવો જોઇએ, પૂજ્‍ય કથાકાર સંતોએ કથામાં ગૌ દાન પાત્ર મુકવા, ગૌ મહીમા તથા ગૌ દાન વિશે ઉપદેશ આપવા અમારી પ્રાર્થના છે. જન્‍મદિવસ, લગ્નતિથિ, શ્રદ્ધા, સ્‍વજનોની પૂણ્‍યતિથિ કે અન્‍ય સારા- માઠા પ્રસંગોએ ગૌશાળામાં જઇ ગૌ પૂજન કરી ગૌ દાન કરવું, આપણા ધંધા રોજગારના સ્‍થળે તથા ઘરે ગૌદાન પેટી મુકવાનો સંકલ્‍પ કરો.

No comments:

Post a Comment