Sunday, 22 April 2018

ભારત કૃષિ-પ્રધાન કે ખુર્શી-પ્રધાન ???

જગતના તાતને કમનસીબીની લાત...




મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી... દેશભક્તિના ગીતોમાં સોના જેવો પાક ઉતરે એવી ભાવના વ્યકત થાય છે. પણ પાક ઉગાડનારા ખેડૂતોની આ કૃષિપ્રધાન દેશમાં હાલત કેવી કથળેલી છે ?
અન્ન ઉગાડી આખા દેશને જમાડતા અને જીવાડતા જગતના તાત કર્જ  કમનસીબીની લાત ખાઈને મોતને ભેટે છે.

૨૦૧૪થી ૨૦૧૬ સુધીના ત્રણ વર્ષના ગાળામાં  દેશના ૩૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  કિસાન કલ્યાણ યોજનાઓ પાછળ કરોડો  રૃપિયાની ફાળવણી થાય છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફી આપવામાં આવી છે અને કૃષિકારોની સહાય માટે કેટલાય પેકેજ જાહેર કરવામાં આવે છે છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો થંભવાનું નામ  જ નથી લેતો.

Wednesday, 4 April 2018

વિપ્લવ (ક્રાંતિકારી ફેરફાર)

૧૮૫૭ પહેલા વિપ્લવના ૪૦ પ્રયત્નો થયા હતા જો સંભવ હોત તો ડેલહાઉસી જાનવરો પાસેથી પણ વેરો વસૂલત ૧૮૫૭ના વિપ્લવનું એક કારણ હતું પરદેશ જવાથી ધરમ ભ્રષ્ટ થાય એવી અંધશ્રદ્ધા....

૧૮૫૭નો વિપ્લવ રાષ્ટ્રીય ભાવનાને લીધે નહીં, પણ ધાર્મિક ભાવનાને કારણે થયો હતો. કંપની રાજથી બધા ત્રસ્ત હતા, પરંતુ બધા આ વિપ્લવમાં સામેલ થયા નહોતા. ઈતિહાસકારો તેને સૈનિક વિદ્રોહ કહે છે. શું થયું હતું? જાણવા જેવું છે. રસપ્રદ છે. ૨૯ માર્ચ, ૧૮૫૭, રવિવાર. બેરકપુર સ્થિત ૩૪મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીનો એડજુટેંટ લેફ્ટિનેંટ બાઉ ચર્ચ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને જાણ કરવામાં આવી કે ખુશ્કીદળમાં અશાંતિ વ્યાપેલી છે. છઠ્ઠી કંપનીનો સિપાઈ મંગલ પાન્ડે ધુઆપુઆ થઈને ફરી રહ્યો હતો. કહેતો હતો કે જો કોઈ અંગ્રેજ અધિકારી મારી સામે આવી જશે તો તેને મારી નાખીશ. તે બીજા સિપાઈઓને સાથ આપવા કહી રહ્યો હતો. 

દેવળ જઈ રહેલા લેફ્ટિનેંટનો ઇરાદો બદલાયો. તેણે તરત જ વરદી ધારણ કરી. બે ભરેલી પિસ્તોલ લઈ ઘોડો પલાણી યુનિટ તરફ રવાના થયો. મેદાનની વચ્ચોવચ્ચ કંપનીની તોપ પડી હતી. મંગલ પાન્ડેએ બાઉને આવતા જોયો એટલે તરત જ તે તોપ પાછળ છુપાઈ ગયો. લેફ્ટીનેંટે જોયું કે બધા જવાનો બરેકમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ મંગલ પાન્ડે ક્યાંય દેખાતો નહોતો. તેણે બળવાખોર સિપાઈઓને આત્મસમર્પણ કરવાની હાકલ કરી. ત્યાં ધડાકાનો અવાજ સંભળાયો. તેના ઘોડાને ગોળી વાગી હતી. બંને જમીન પર પટકાયા. તે તુરંત જ ઊભો થઈ ગયો. કમરમાં ખોંસેલી પિસ્તોલ હાથમાં લઈને મંગલ પાન્ડેની પાછળ દોડયો. તેને બીજી વખત રાઇફલમાં કારતૂસ ભરવાનો મોકો પણ ન આપ્યો. તેણે તલવાર કાઢી. બાઉએ ગોળી ચલાવી. તે બચી ગયો. બાઉએ તલવાર કાઢી. ત્યાં તો પાન્ડે તેના તરફ ધસી ગયો. તેને જમીન પર પછાડી માથે ચડી ગયો. વધારે કઈ કરે એટલામાં સાર્જન્ટ હડસન આવી પહોંચ્યો. તેણે પાન્ડેને ઈજાગ્રસ્ત કરી જમીન પર પટકી દીધો. હડસને સામે ઊભેલા જવાનોને મદદ માટે બોલાવ્યા, પણ કોઈ ન ગયું. સૈનિકોનો રોષ પ્રગટ થઈ ચૂક્યો હતો. ત્યાં અંગ્રેજોનો એક ઓર સાથી શેખ પલ્ટુ આવી પહોંચ્યો. તેેણે મંગલ પાન્ડેને કાબૂમાં કરી લીધો. એટલામાં અનેક અંગ્રેજ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે મંગલ પાન્ડેને ઘેરી લીધો. મંગલ પાન્ડેએ સ્વયંને ગોળી મારવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. તેના પર કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. ૧૮મી એપ્રિલે ફાંસી મુકરર થઈ કિન્તુ ૧૦ દિવસ પહેલા જ એટલે કે આઠમી એપ્રિલે ફાંસી આપી દેવામાં આવી. 

આ સાથે જ મેરઠથી બંડ શરૃ થઈ ગયો. અહીં આપણે ૧૮૫૭માં શું બન્યું એની વાત નથી કરવી. એ પહેલા શું બન્યું? એના માટેની ભૂમિકા કેવીરીતે તૈયાર થઈ? એના પર ઉજાસ ફેંકવો છે. લોર્ડ ડેલહાઉસી ૧૮૫૬માં હિંદુસ્તાન છોડીને જતો રહ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેણે જે પરાક્રમો કર્યા હતા તેના પ્રતાપે ભારતનો ઈતિહાસ સદા માટે બદલાઈ જવાનો હતો.  તેેણે ખાલસા નીતિ(ડોક્ટ્રિન ઑફ લેપ્સ) દ્વારા અનેક રાજાઓ અને નવાબોનાં રાજ્યો છીનવી લીધાં હતાં. 

ફ્રીડમ સ્ટ્રગલ ઑફ ઇંડિયા પુસ્તકમાં ઇતિહાસકાર બિપિનચંદ્ર લખે છે કે હજારો જમીનદારોએ અને દક્ષિણ ભારતના પોલીગરોએ પોતાની જમીન ગુમાવવી પડી હતી. પોલીગર પણ એક પ્રકારના જમીનદાર જ છે. એક નગરમાં ૭૨ પોલીગર રહેતા. તેઓ સેના પણ રાખતા અને રાજાને મદદ કરતા. જમીનદારો અને પોલીગરોએ કંપનીની તિજોરીમાં ટેક્સ જમા કરાવવો પડતો. તેમ કરવા તેઓ સક્ષમ ન રહેતા તેમને જમીન ગુમાવવી પડી. ઇસ્ટ ઇંડિયા કંપનીની લાલચે દેશના ખેડૂતોની કેડ ભાંગી નાખી હતી. 

૩૦ વર્ષમાં કેવળ બંગાળમાંથી કંપનીએ મોગલોની તુલનાએ ડબલ વેરો વસૂલવાનો આરંભ કરી દીધો હતો. ડેલહાઉસીની લાલચ એટલી વધી ગઈ હતી કે રાહદારીઓ પાસેથી પણ વેરો વસૂલવા લાગ્યો હતો. તેની મરજી ચાલે તો તે જાનવરો પાસેથી પણ કરની વસૂલાત કરત. ભારતીય સૈનિકોની સ્થિતિ બરાબર નહોતી. ભારતીય અને અંગ્રેજી સૈનિકોના પગાર, ભથ્થા અને સુવિધાઓ વચ્ચે પાતાળ-જમીનનું અંતર હતું. ભૂમિદળના એક સિપાઈને મહિને કેવળ સાત રૃપિયાનો પગાર મળતો હતો. તેમાંથી વરદી, રહેવું, ખાવું, પીવું વગેરે કર્યા પછી માત્ર એક કે બે રૃપિયા બચતા. જે સૈનિક તેના વતન મોકલાવતો. ઘોડેસવાર સૈનિકને મહિને રૃા.૨૭નો પગાર મળતો. સૈનિકોને આપવામાં આવતી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. ચીઠ્ઠી મોકલવા માટે ટપાલ ટિકિટ પણ તેમને જાતે ખરીદવી પડતી હતી. 

૧૭૬૩થી ૧૮૫૬ દરમિયાન વિદ્રોહના ૪૦થી વધારે પ્રયત્નો થયા હતા. છુટા-છવાયા કિસ્સાઓની સંખ્યા ૧૦૦થી અધિક છે. સિપાઈઓનો અસંતોષ વધતો જતો હતો. ૧૮૫૨માં લોર્ડ એલનબરોના કાળમાં પણ એક સિપાઈ વિદ્રોહ થયો હતો, જે દબાવી દેવામાં આવ્યો. 
બીજી ચીનગારી ડેલહાઉસીના કાર્યકાળમાં પંજાબમાં ઊઠી. સૈનિકોને કડક સૂચના આપવામાં આવી હતી કે જનતા પ્રત્યે જરાય દયા દાખવવામાં ન આવે. તેમની પાસેથી ટેક્સ વસૂલવો અને ન ભરનાર સામે નિર્દયતાથી પગલાં લેવાં. અંગ્રેજ અફસરો સૈનિકોને પોતાના જ લોકો પર અત્યાચાર ગુજારવાનો આદેશ આપતા હતા. આથી તેમનામાં અસંતોષ ફેલાયો. ચાર્લ્સ નેપિયરે આ અસંતોષ પોતાની સમજદારીથી દબાવી દીધો. હિંદુ ધર્મમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે પરદેશગમનથી ધર્મ ભ્રષ્ટ થાય. ડેલહાઉસીએ ૩૮ રેજિમેન્ટને બર્મા મોકલવાનો હુકમ કર્યો. આથી સૈનિકોમાં નારાજગી ભભૂકી. એ સમયે પરદેશથી પરત આવનારા લોકોનો સમાજમાં સ્વીકાર પણ થતો નહોતો. સૈનિકોના રોષને પામી જઈ ડેલહાઉસીએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, પણ ત્યાં લગીમાં મોડું થઈ ચૂક્યું હતું. ૧૮૫૬માં ડેલહાઉસી જતો રહ્યો, પરંતુ જમીનની ભીતર સળવળતો લાવા મૂકીને ગયો હતો. તેના સ્થાને આવેલા લોર્ડ કેનિંગને ડેલહાઉસીની નજરથી જ ભારત દર્શન કરાવવામાં આવ્યું. 

૧૮૫૭ના વિપ્લવ ઉપર પ્રથમ પુસ્તક તત્કાલીન મેજર જ્યોર્જ બૂ્રસ માલેસને લખ્યું હતું. એ પુસ્તકનું શીર્ષક છે બંગાળ સૈન્યનો બળવો. એ સમયે ભારત ત્રણ પ્રેસિડેન્સીમાં વિભાજિત હતું. બંગાળ, બોમ્બે અને મદ્રાસ. વિદ્રોહ માત્ર બંગાળ પ્રેસીડેન્સીમાં જ થયો હતો. બંગાળ આર્મીમાં બ્રાહ્મણોનો દબદબો હતો. ૧,૦૦૦ સૈનિકમાંથી ૮૦૦ હિંદુ અને ૨૦૦ મુસ્લિમ હતા. હિંદુમાં ૪૦૦ બ્રાહ્મણ અને ૪૦૦માં બિનબ્રાહ્મણો તથા કથિત નિમ્ન જાતિઓ. ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ મામલે હિંદુ સૈનિકો ખ્રિસ્તી મિશનરીઓ સામે ગુસ્સે ભરાયેલા હતા. 

અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ આ બાબતથી વાકેફ હતા. તેઓ એક સમયે ઇસ્ટ ઇંડિયા કંપનીના મિત્ર હતા. કપરા કાળમાં તેમણે કંપનીની મદદ કરી હતી, કિન્તુ કંપનીએ ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. આથી વેર લેવા તેમણે હિંદુ સૈનિકોને પોતાના એજન્ટો મારફતે ભડકાવવાનું શરૃ કર્યું. તેઓ ઓગસ્ટ ૧૮૫૭માં વિપ્લવ કરાવવા માગતા હતા. કારણ કે ત્યારે રાણી વિક્ટોરિયા ઇન્ગ્લેન્ડ છોડીને બહાર જવાના હતા. વાજિદ અલી શાહ હિંદુ સૈનિકોને ભડકાવી રહ્યા હતા ત્યાં એન્ફિલ્ડ રાઇફલે તેમનું કામ ઓર સરળ કરી નાખ્યું. લંડનમાં ત્યારે નવી નવી આવેલી એન્ફીલ્ડ રાઇફલ કર્નલ બિર્ચ ભારતમાં લાવવા માગતા હતા. તેની કારતૂસનું કવર બનાવવામાં ગાય અને ડુક્કરની ચામડીનો ઉપયોગ થતો હતો. તેમણે ભારતમાં પણ આવી કારતૂસ બનાવવાનો આદેશ આપી દેતા અને સૈનિકોને તેનો ઉપયોગ કરવાની ફરજ પાડતા કેરોસીનમાં તણખો પડયો. સૈનિકોને જ્યારે ખબર પડી એ જ ઘડીએ તેમણે આ કારતૂસનો ઉપયોગ કરવાનો નનૈયો ભણી દીધો. પહેલા તો કર્નલ બિર્ચે આ આક્રોશ પરત્વે ધ્યાન ન આપ્યું. ચાર મહિના પછી તેમણે અસંતોષને ધ્યાને લઈ કારતૂસ બનાવવાનું બંધ કરી દીધું, પરંતુ સિપાઈઓને આ વિશે જાણ કરી નહીં. એન્ફિલ્ડ રાઇફલમાં ગાયના ચામડાનો ઉપયોગ થાય છે એની જાણ થવા વિશેનો કિસ્સો ગજબ છે.

એક વખત નિમ્ન મનાતી જાતિના સૈનિકે બ્રાહ્મણ સૈનિક પાસે પીવાનું પાણી માગ્યું. બ્રાહ્મણ સૈનિકે કહ્યું, તને પાણી આપીને મારે ધરમ ભ્રષ્ટ નથી કરવો. નિમ્ન જાતિના મનાતા સૈનિકે કહ્યું,જ્યારે તમે મારા હાથે કારતૂસ પર લાગેલું ગાયનું ચામડું તમારા મોઢેથી તોડો છો ત્યારે તમારો ધર્મ ભ્રષ્ટ નથી થતો? ઇસ્લામમાં ડુક્કર વર્જ્ય મનાતું હોવાથી તેઓ પણ ડુક્કરના ચામડાના ઉપયોગથી નારાજ હતા. વાજીદ અલી શાહ એવી હવા ફેલાવતા હતા કે ત્રણ વર્ષમાં અગ્રેજો સમગ્ર ભારતને ખ્રિસ્તી બનાવી દેશે. આવું કરવામાં તેમની જ ગણતરી ઊંધી પડી. ઓગસ્ટમાં શરૃ થવો જોઈતો વિપ્લવ મેમા ંશરૃ થયો અને યોગ્ય પરિણામ સુધી પહોંચી શક્યો નહીં.

- નેટવર્ક 
ગુજરાત સમાચાર (04 April, 2018)

Monday, 2 April 2018

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ:-

આજે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 'સ્વલીંનતા' નું પ્રમાણ દર 1000 બાળકોએ દોઢ ટકા - છોકરાઓમાં આ રોગનું પ્રમાણ વધારે - બીમારીની ઓળખ નાની ઉંમરથી કરી યોગ્ય વર્તન અને સારવારથી આવા બાળકોમાં કૌશલ્ય વિકસાવી શકાય...

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨ એપ્રિલ એ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઓટિઝમ અંગે જાગૃતિ સભર કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી માતા-પિતા પોતાના બાળકોને જો આ પ્રકારે કોઇ ચિન્હો જોવા મળે તો તેને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી શકે અને યોગ્ય પગલાઓ લઇ શકે. 


ઓટિઝમ શબ્દનો ગુજરાતી અર્થ 'સ્વલીનતા' છે. આ બિમારીથી પિડિત બાળકો જાણે પોતાનામાં જ મગ્ન રહે છે. અન્યો સાથેનો સામાજિક વાર્તાલાપ લગભગ નહીં જેવો હોય છે. તેઓનો અન્યો સાથે શાબ્દિક અને બિન-શાબ્દિક વાર્તાલાપ કરવા જાણે શક્ત હોય છે. તેઓ ઘણી વખત એકના એક કાર્યમાં લાંબો સમય જોતરાયેલ રહે છે. આ બિમારીની બાળકના શારિરીક તથા માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે. ઓટીઝમનું પ્રમાણ દર ૧૦૦૦ બાળકોએ લગભગ ૧.૫ ટકા થી ૨ ટકા જેટલુ છે. જેમાં છોકરાઓમાં પ્રમાણ છોકરીઓની સાપેક્ષે ૪ ગણાથી પણ વધુ છે. ઓટીઝમ થવાવું કોઇ ચોક્કસ કારણ જાણ શકાયુ નથી.

વારસાગત, જનીનોની ખામીઓ ઉપરાંત માતા-પિતાની મોટી ઉંમરે બાળકનું અવતરવુ, ૯ માસ કરતા ઓછા સમયની ગર્ભાવસ્થા બાદ બાળકનો જન્મ થવો, જન્મ સમયે બાળકનુ ઓછુ વજન વગેરે જોવા મળ્યા છે. આ બાળકોમાં મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ થવાનુ જોખમ અન્યોની સાપેક્ષે વધુ રહે છે. 
ઓટિઝમથી પિડીત સ્ત્રીઓ અને બાળાઓનું સશક્તિકરણ ને વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે ૨૦૧૮ની મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ધ્યાને સ્ત્રીઓ અને બાળકીઓનું ઓટીઝમની બિમારીના લીધે શોષણ થતુ હોવાની વાત સામે આવતા તેમણે આ વર્ષે આ વિષય પર જાગૃતી અર્થે કામ કરવાનું નક્કી કર્યું છે. 

બાળકમાં આ બિમારીની ઓળખ નાની ઉંમરથી જ કરવામાં આવે તથા દવાઓ ઉપરાંત યોગ્ય સામાજીક તથા વર્તન સબંધિત સારવાર વડે શિક્ષણ, વાણી, ભાષા, સામાજીક કૌશલ્ય તથા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે તો તેઓમાં સ્વ-સંભાળ, સામાજિક તથા વ્યવસાયિક કૌશલ્ય વિકસાવી શકાય.

Monday, 26 March 2018

રામનવમીનું મહત્વ

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.



રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત રામ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ… રામ… બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ…રામ…નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુ:ખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું.   ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.

આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. અ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ.

અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.