Tuesday, 15 August 2017

ભારતનો આઝાદી દિવસ ૧૫ ઓગસ્ટે અને પાકિસ્તાનનો 14મીએ શા માટે ઊજવાય છે ?

ભારત આઝાદ કેવી રીતે થયો અને ત્યારબાદ શું બન્યું તથા બની રહ્યું છે તેનાથી આપણે સુપેરે અવગત છીએ, તેમ છતાં ભારતની આઝાદી માટે પંદર ઓગસ્ટ શા માટે પસંદ કરવામાં આવી તે ખૂબ જ રોચક છે. બ્રિટનની સંસદ દ્વારા ૧૯૪૭માં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો અને ભારતને આઝાદ કરાયું. આ આઝાદી પણ લોહીથી ખરડાયેલી હતી કારણ કે ભાગલા થયા સાથે સાથે પાકિસ્તાનનો પણ ઉદય થયો. આ ભાગલા દરમિયાન થયેલા નરસંહારમાં પંદર લાખ કરતાં વધારે લોકોનો ભોગ લેવાયો હોવાનું અનુમાન છે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લાલ કિલ્લા ઉપરથી દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પ્રવચન આપ્યું અને ત્રિરંગો લહેરાવ્યો. ત્યારથી અત્યાર સુધી આ પરંપરા યથાવત્ છે અને દરેક વડા પ્રધાન લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવીને દેશનો સંબોધન કરે છે.
આમ જોવા જઈએ તો ૧૯૨૯માં કોંગ્રેસના પ્રમુખપદે રહેલા જવાહરલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજની હાકલ કરી હતી. તેઓ અંગ્રેજોને દેશ છોડી જવા અને ભારતને આઝાદ કરવાની હાકલ કરી રહ્યા હતા. તે વખતે ૧૯૩૦માં ૨૬ જાન્યુઆરીને દેશના આઝાદી દિવસ તરીકે જાહેર કરાયો અને કોંગ્રેસે દર વર્ષે તે દિવસને ઊજવવાનું નક્કી કર્યું. ભારત આઝાદ થયો ત્યાં સુધી આ પરંપરા ચાલુ જ રહી. ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરાયો.
બ્રિટન ૧૯૪૮માં સંપૂર્ણ આઝાદી આપવા ઈચ્છતું હતું
બ્રિટનની સંસદ દ્વારા લોર્ડ માઉન્ટબેટનને જણાવવામાં આવ્યું કે, તેઓ ૩૦ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને તમામ અધિકારો અને સત્તા સોંપી દે. આ દરમિયાન ભારતના પીઢ રાજકારણી અને સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીએ જણાવ્યું કે, લોર્ડ માઉન્ડ બેટન ૧૯૪૮માં સત્તા સોંપશે ત્યાં સુધીમાં કશું જ લેવા જેવું બાકી રહ્યું નહીં હોય. આ એક મહત્ત્વની દલીલ અને કારણના લીધે માઉન્ટબેટને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનને એ પણ ભય હતો કે બ્રિટનની સત્તામાંથી જેટલા દેશો આઝાદ થયા છે ત્યાં આઝાદી બાદ નરસંહાર થયા હતા. ભારતમાં પણ તેમ ન થાય તે માટે આઝાદીની તારીખ એક વર્ષ આગળ ખેંચાઈ હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હિંસા અથવા નરસંહાર થશે તો ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. માઉન્ટબેટનની અરજીના આધારે બ્રિટનની સંસદે ૪ જુલાઈ ૧૯૪૭માં ભારતની આઝાદીના ખરડાને મંજૂરી આપી દીધી. આ રીતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ્ય મળી ગયું પણ સાથે સાથે બીજા દેશનો પણ ઉદય થયો જે હતો પાકિસ્તાન.
માઉન્ટબેટને થોડા સમય બાદ જણાવ્યું કે, મેં આઝાદી માટે આ તારીખ પસંદ કરી તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મને કરાયેલા સવાલના જવાબ દરમિયાન મેં આ તારીખ આપી હતી. હું માત્ર એક જ બાબત બતાવવા માગતો હતો કે તમામ બાબતનું આયોજન મેં કર્યું હતું. તે લોકોએ મને સવાલ કર્યો કે અમે તારીખ નક્કી કરીએ ત્યારે મને એંધાણ હતા કે તેઓ વહેલી જ તારીખ રાખશે. મારે ઘણા કામ કરવાના બાકી હતા અને મારા અંદાજ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર પહેલાં હું કામ પૂરું કરી શકું તેમ નથી. તેના કારણે મેં ૧૫ ઓગસ્ટ પસંદ કરી હતી. તેની પાછળ એક તર્ક એવો પણ હતો કે, બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સ્વીકારેલી શરણાગતિની બીજી વરસી હતી.
પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે શા માટે આઝાદી દિવસ ઊજવે છે?
પાકિસ્તાન આઝાદ થયા પછી મોહમ્મદ અલી ઝીણા થોડા ખુશ હતા કે તેમને આઝાદ દેશ મળ્યો. તેમનો આ આનંદ લાંબો સમય ટક્યો નહીં. આઝાદીના ૧૩ મહિના બાદ તેઓ મૃત્યુ પામ્યા. અંતિમ દિવસો દરમિયાન ઝીણા સાહેબને એક જ આનંદ હતો કે ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા હતા. તેમનો આ આનંદ થોડા મહિનાઓમાં દૂર થઈ ગયો. પાકિસ્તાનની પ્રજાને તે સમયે રમાઈ રહેલી રાજકીય રમતોની જાણ જ નહોતી. સત્તાની સાઠમારીને નામે પાકિસ્તાનને ભારત વિરોધી બનાવાઈ દેવાયું અને તેને ભારતથી જુદું પાડવા માટે પાકિસ્તાનનો આઝાદી દિવસ ભારત કરતાં એક દિવસ પહેલાં એટલે કે ૧૪ ઓગસ્ટે ઊજવવાનું શરૃ કરી દેવાયું. આ તર્ક ઘણા રાજકારણીઓ અને તે સમયે લોકો આપતા હતા પણ વાસ્તવિકતા ક્યારેય બહાર આવી જ નથી.
બીજી તરફ એવો પણ તર્ક છે કે, ૧૯૪૮માં પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ બદલી કાઢયો કારણ કે તે દરમિયાન રમજાન મહિનો ચાલતો હતો અને ૨૭મો રોજો આવતો હતો જે ખૂબ જ પવિત્ર ગણાય છે. આ રોજા સાથે તારીખની હાલાકી ન પડે તેના કારણે પાકિસ્તાને આઝાદી દિવસ એક દિવસ અગાઉ એટલે કે ૧૪ ઓગસ્ટે મનાવવાનો શરૃ કરી દીધો. ત્યારથી આજદિન સુધી ૧૪ ઓગસ્ટે જ પાકિસ્તાનમાં આઝાદીની ઉજવણી થાય છે.

ચેન્નાઈમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે ફરકાવાયેલો રાષ્ટ્ર ધ્વજ

 દેશને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, એટલે કે ૭૦ વર્ષ પૂર્વે ચેન્નાઈના ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકાવવામાં આવેલો ૧૨ બાય ૮ ફિટના આ  ત્રિરંગો ધ્વજ માટે હવાચૂસ્ત શોકેસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સહિસલામત જાળવી રખાયો છે. 



આર્કિઓલોજીકલ સર્વે ઓફ  ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે. 

માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે. 

૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે. 

આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.